રવિવારથી શારદીય નવરાત્રિ શરુ થઇ રહી છે. 29 સપ્ટેમ્બર અને રવિવારના રોજ પ્રથમ નોરતુ છે. આ દિવસે માતાજીની શૈલપુત્રી રુપની પુજા થશે. બીજા દિવસે માં બ્રહ્મચારિણી રુપમાં પુજા થશે. 1 ઓક્ટોબર અને મંગળવારના રોજ મા ચંદ્રઘટા રુપમાં પુજા કરાશે.ચોથા નોરતે મા કુષ્માંડા સ્વરુપે પુજાશે. પાંચમા દિવસે સ્કંદમાતા સ્વરુપે પુજા થશે. જ્યારે સાતમા દિવસે એટલે કે 4 ઓક્ટોબર અને ગુરુવારે માં કાત્યાયની સ્વરુપે પુજાશે. સાતમા નોરતે મા અંબેની કાલરાત્રિ સ્વરુપે પુજા થશે. 6 ઓક્ટોબર અને રવિવારના રોજ આઠમું નોરતુ છે. આ દિવસે માં મહાગૌરી, દુર્ગા મહાષ્ટમી ઉજવાશે. નવમા અને છેલ્લા નોરતે મા સિધ્ધાદાત્રી સ્વરુપે પુજા થશે. આઠ ઓક્ટોબરે વિજયા દસમીની ઉજવણી થશે.
જવારા વાવવા પાછળ શું માન્યતા છે
ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિની શરુઆત બાદ પહેલો પાક જવનો થયો હતો. તેથી દેવી-દેવતાઓની પુજા સમયે હંમેશા જવ ચઢાવવામાં આવે છે. માન્યતા અનુસાર જવ વાવવા પાછળનું કારણ એજ છે કે અન્ન બ્રહ્મ છે અને આપણે અન્નનું સન્માન કરવું જોઇએ. નવરાત્રિના પર્વ દરમિયાન વાવવામાં આવેલા જવમાંથી ભવિષ્ય સંબંધિત કેટલીક બાબતોના સંકેત મળે છે. આ દરમિયાન જવનું ઝડપથી અને સારી રીતે વધવુ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિમા જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમા સુખ અને સંપતિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃધ્ધિ આવે છે.
નવરાત્રિમાં જવ વાવવાથી મળે છે આ સંકેત
- વાવેલા જવ બેથી ત્રણ દિવસમાં જ અંકુરિત થઇ જાય છે, પરંતુ જો તે ન ઉગે તો તેને ભવિષ્ય માટે સારો સંકેત માનવામાં આવતો નથી. તેનો અર્થ એ થાય છે કે સખત મહેનત બાદ જ કોઇ કામમાં સફળતા મળશે.
- જો જવનો રંગ નીચેથી અડધો પીળો અને ઉપરથી અડધો લીલો હોય તો તેનો અર્થ એ છે કે આવનારુ અડધુ વર્ષ સારુ રહેશે, જ્યારે અડધુ વર્ષ થોડી તકલીફો આવશે.
- જો ઉગાવેલા જવનો રંગ નીચેથી અડધો લીલો અને ઉપરથી અડધો પીળો હોય તો તેનો અર્થ એ છે કે વર્ષની શરુઆતમાં સમય સારો વીતશે, પરંતુ ત્યારબાદ થોડી તકલીફોનો સામનો કરવો પડશે.
- જો વાવેલા જવ સફેદ કે લીલા રંગમાં ઉગી રહ્યા હોય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે આવનારુ આખુ વર્ષ ખુશીઓથી ભરેલુ હશે.