શ્રાવણનો મહિનો શિવ અને શિવ ભક્તોનો પ્રિય મહિનો છે. આ મહિનામાં શીવલીંગની પૂજાનું ખાસ મહત્વ છે. એવું પણ કહેવાય છે કે આ મહિનામાં શીવલીંગ પર પાણી ચઢાવનાર ભક્તોને ખાસ વરદાન મળે છે અને તેમની તમામ મનોકામનાઓ પુર્ણ થાય છે.
ધરતી પર રહે છે શિવ-પાર્વતી
માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાનાં પ્રારંભની સાથે સૃષ્ટિની રચના કરનાર ભગવાન વિષ્ણુ આરામ માટે પોતાના લોક જતા રહે છે. તે પોતાનું દરેક કામ ભગવાન શિવને આપી દે છે. ભગવાન શિવ પાર્વતીની સાથે ધરતી લોક પર રહીને ધરતીવાસીઓનું રક્ષણ કરે છે.
ભગવાન શિવ અને શ્રાવણ
શ્રાવણ મહિનામાં વરસાદ સૌથી વધારે થાય છે કારણ કે ભગવાન શિવનાં ત્રણેય નેત્ર સૂર્ય ચંદ્ર અને અગ્નિનાં સ્વરૂપ છે. તેના સિવાય કંઠમાં ઝેર થવાના કારણે શિવનું શરીર તદ્દન ગરમ રહે છે. શ્રાવણમાં વરસાદની મોસમ હોવાનાં કારણે શિવનાં શરીરમાં પૂરતી ઠંડક મળે છે. જેના કારણે જ શિવને શ્રાવણ મહિનો અત્યંત પ્રિય છે.
શ્રાવણમાં સમુદ્રમંથન
પોરાણિક કથાઓમાં વર્ણન આવે છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્રમંથન પછી જે હલાહલ ઝેર નીકળ્યું તેને ભગવાન શંકરે કંઠમાં સામેલ કરી સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષપાનથી મહાદેવ શિવનો કંઠ લીલો પડી ગયો હતો. જેના માટે મહાદેવને નીલકંઠના નામથી પણ બોલાવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઝેરની અસર ઓછી કરવા માટે જ શ્રાવણમાં શિવજી પર જળ ચઢાવવામાં આવે છે.
આજ કારણ છે કે બીજા મહિનાની સરખામણીએ શ્રાવણ મહિનામાં શિવલીંગ પર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે. આ મહિનામાં શિવલીંગ પર જળ ચઢાવનાર વ્યક્તિની દરેક મનોકામનાઓ પુર્ણ થાય છે.
શિવપુરાણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શિવ પોતે જ જળ છે એટલે જ જળથી તેમનાં અભિષેકના રૂપમાં પૂજા કરવાથી સિદ્ધી પ્રાપ્ત થાય છે.