વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને કોરોનાવાયરસની સારવાર માટે મેલેરિયાની ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વિનના ટ્રાયલને અટકાવી દીધી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોમવારે કહ્યું હતું કે તેઓએ સાવચેતીરૂપે કોરોના વાયરસની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનના ક્લિનિકલ ટ્રાયલ અસ્થાયીરૂપે બંધ કરી દીધા છે. ગયા અઠવાડિયે લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસના અહેવાલ બાદ સંગઠને આ નિર્ણય લીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ ડ્રગના ઉપયોગથી કોરોના દર્દીઓના મોતની શક્યતા ઘટવાના બદલે વધી જાય છે. ડબ્લ્યુએચઓ વડાએ આ માહિતી વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.
આ દવા અને હ્રદય રોગની સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવા મળ્યો
ક્લોરોક્વિન અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ અને હોસ્પિટલમાં દાખલ કોવિડ 19ના દર્દીઓમાં વધતા મૃત્યુ અને હ્રદય રોગની સમસ્યાઓ વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો. કોવિડ 19 દર્દીઓને આ સારવારમાં દવાના ઉપયોગથી નુકસાન થઇ રહ્યું છે તેવું અધ્યયનમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ દવાનું સેવન કરવાની હિમાયત કરતા આવ્યા છે. ભારત સરકારે પણ ફ્રન્ટ લાઈન વોરિયર્સને આ દવા આપવાનું સૂચન કરેલું છે. એવામાં WHOના નિર્ણયથી હાઇડ્રોક્સીક્લોરોક્વિનની અસરકારકતા અને જોખમો સામે સવાલ ઉભા થયા છે.
15000 દર્દીઓના ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું
નોંધનીય છે જે લેસેન્ટ અધ્યયનમાં કોવિડ 19ના લગભગ 15000 દર્દીઓના ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. હાઇડ્રોક્સિક્લોરોક્વિન એ મેલેરિયા માટેની જૂની અને સસ્તી દવા છે અને તે કોવિડ 19 ની સારવાર માટે અસરકારક સારવાર માનવામાં આવે છે. અગાઉ, એવા ઘણા અહેવાલો આવ્યા છે કે જેમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કોવિડ 19 ના દર્દીઓ પર કોઈ અસર કરતી નથી.
આ દવા લેવાથી મૃત્યુનું જોખમ વધે છે: તારણ
બોસ્ટનના અધ્યયનના મુખ્ય લેખક અને બ્રિગામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ સેન્ટર ફોર એડવાન્સ હાર્ટ ડિસીઝિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર મનદીપ આર મેહરાએ જણાવ્યું હતું કે આ પ્રથમ મોટા પાયે અભ્યાસ છે જે કોવિડ 19ના દર્દીઓને ક્લોરોક્વિન અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ ન કરવાનું સાબિત કરે છે. અમારા તારણો સૂચવે છે કે આ દવા લેવાથી મૃત્યુનું જોખમ તેમજ કાર્ડિયાક સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.
USAના એક અહેવાલ અનુસાર USAમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો થઈ રહ્યો નથી અને આ મેલેરિયા વિરોધી દવા આપવામાં આવેલા મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.