રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ ચિંતામાં, કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ શરુ કરવા માગ
રાજ્યમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
ગુજરાત યુનિ. શૈક્ષિક સંઘની માગ
વધતા કેસને લઇ વર્ક ફ્રોમ હોમની માગ કરી
રાજયમાં કોરોનાના કેસમાં બિલ્લી પગે વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. આ તમામ વચ્ચે સરકારને જ્ઞાન આવતા જાહેર કાર્યક્રમો જેવા કે વાઇબ્રન્ટ સમિટ, કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો રદ કરવામાં આવ્યા. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓને લઇને કોઇ નિર્ણય જાહેર કરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે.કારણ કે આવા માહોલમાં બાળકો કે કોલેજના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવા કેવી રીતે. જો કે કેટલીક શાળાએ તો ઓનલાઇન શિક્ષણ શરૂ કરી દીધુ પરંતુ કોલેજોમાં હજી શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યુ છે. કોરોનાના કેસે રફતાર પકડતા ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ શિક્ષણમંત્રીને પત્ર લખીને માગ કરી છે કે કોલેજોમાં ઓફલાઇન શિક્ષણબંધ કરીને ઓનલાઇન શિક્ષણ કરવામાં આવે. કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા વિદ્યાર્થીઓના નિર્ણયમાં સરકાર કોઇ નિર્ણય લે તેવી માગ કરી છે.
કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરો
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે પરંતુ પ્રજા હજી પણ બેફામ ફરી રહી છે. ક્યાંક સામાજિક અંતરનો ભંગ તો ક્યાંક માસ્ક પણ પહેરેલુ જોવા મળતુ નથી. ત્યારે આવી સ્થિતિમાં વધતા કેસને પગલે વિદ્યાર્થીઓ કોલેજમાં આવે તે જોખમી છે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે પરંતુ વિદ્યાર્થી ઘરે રહીને ઓનલાઇન અભ્યાસ કરે તે વધારે ફળદાયી નીવડી શકે છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ કોલેજમાં આવતા ડરી રહ્યા છે. આથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેમજ તેઓનો જીવ જોખમમાં ન મુકાય તે ધ્યાને રાખીને ગુજરાત યુનિવર્સિટી શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને ઓનલાઇન ક્લાસ શરૂ કરવાની રજૂઆત કરી છે.
બારડોલીની કોલેજમાં 39 વિદ્યાર્થીઓ સંક્રમિત
સુરતના બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 6 જાન્યુઆરીએ 39 વિદ્યાર્થીઓ કોરોના થી સંક્રમિત થયા હતા. જેને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મહત્વનું છે કે, યુનિવર્સિટીમાં તાજેતરમાં 82 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 14 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં હતાં.
કોલેજના 14 અને હોસ્ટેલના 25 વિધાર્થીઓ કોરોના સંક્રમિત
આ 14 વિધાર્થી પૈકી 2 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહે છે.જેથી આરોગ્ય વિભાગે જ્યારે હોસ્ટેલમાં રહેતાં 300 વિધાર્થી પૈકી 170 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરાવામાં આવતાં વધુ 25 વિધાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયાં હતાં. જેને લઈને સમગ્ર કોલેજમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આમ કોલેજના 14 અને હોસ્ટેલના 25 વિધાર્થીઓ મળીને કુલ 39 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.
શાળા બંધ ક્યારે થશે?
હવે તો રાજ્યમાં આરોગ્ય મંત્રીએ પણ એ સ્વિકારી લીધું છે કે, રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે.અને આ મામલે સરકાર ગંભીર રીતે પગલા પણ ભરી રહી છે.જોકે બીજી તરફ આરોગ્ય મંત્રીએ શાળાઓ મુદ્દે એવું જણાવ્યું કે, હાલ સરકાર શાળાઓ બંધ કરવાની દિશામાં કોઈ વિચારણા નથી કરી રહી.. જ્યાં કેસ આવે ત્યાં માત્ર વર્ગખંડ પુરતી જ શાળાઓ બંધ કરાય છે.જોકે લોકોની સુરક્ષાનો મુદ્દો આવ્યો ત્યારે આરોગ્ય મંત્રી જાણે પોતાની જવાબદારીઓમાંથી છટકતા હોય તેમ જનતા પર જ પોતાની સુરક્ષાનો ટોપલો ઢોળી દીધો.જાણે જનતા જ તાયફા કરતી હોય.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4213 કેસ
ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. ગુરુવારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.