એક સમય જેની એક હાંકલથી લાખો લોકો એકઠા થઈ જતાં હતા અને તે કહે તેમ લાખો લોક કરતા હતા. એ વ્યક્તિ એટલે હાર્દિક પટેલ. પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા અને સમાજને અનામત અપાવવા નીકળેલો લબર મૂછિંયો નવયુવાન.
પરંતુ આજે આ યુવાન સમાજને અનામત અપાવવા નહીં પણ કોંગ્રેસ પાર્ટીને મત અપાવવા માટે નીકળ્યો છે. ક્યારેય રાજકારણમાં નહીં આવવાનું કહેનારો હાર્દિક આજે કોંગ્રેસ પાર્ટીમાં સામિલ થઈ ગયો છે અને કોંગ્રેસ માટે મસમોટી સભાઓ ગજવી રહ્યો છે.
સૌથી પહેલા તો આંદોલનમાંથી નેતા બનેલા હાર્દિક પટેલના આ બે નિવેદન તમે ખુદ સાંભળો. અને તેના પરથી જ નક્કી કરો કે. સત્તાનો સ્વાદ કેટલો મીઠો હોય છે. કેમ રાજકારણમાં આવતા લોકો પહેલા કંઈક અલગ બોલે છે અને બાદમાં કંઈક અલગ બોલે છે.
કોંગ્રેસના ઉમેદવારોનો કરી રહ્યો છે પ્રચાર
હાર્દિક જ્યારે એક પાટીદાર આંદોલનકારી હતો ત્યારે એવુ કહેતો હતો કે હું ક્યારેય રાજકારણમાં આવવાનો નથી. હું કોઈના માટે મત માગવા આવવાનો નથી. રાજકારણમાં મારુ કામ નથી. પરંતુ એજ હાર્દિક હાલ કોંગ્રેસ માટે સભાઓ ગજવી રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારો માટે તાબડતોડ પ્રચાર કરી રહ્યો છે. સૌથી પહેલા તો સાંભળો હાર્દિકના આ વિરોધાભાસી નિવેદન.
તો સાંભળ્યું તમે ?આ એજ હાર્દિક પટેલ છે.જે થોડા સમય પહેલા એમ કહેતો હતો કે હું કોઈના માટે મત માગવા નહીં આવું અને ક્યારેય રાજકારણમાં નહીં આવું. પરંતુ લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ હાર્દિક પટેલે કોગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી લીધી.
કોંગ્રેસ વક્રિંગ કમિટીની ગુજરાતમાં બેઠક યોજાઈ હતી. તેમાં હાર્દિક પટેલે વિધિવત રીતે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી લીધી. આમ હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાઈ જતાં સમાજના બદલે તેણે આ લોકસભા ચૂંટણીમાં 6 કરોડ ગુજરાતીઓના નામે રાજકારણ કર્યું.
6 કરોડ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું: હાર્દિક
તો હાર્દિકે જ્યારે કોંગ્રેસની સદસ્યા ગ્રહણ કરી ત્યારે તેણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 3 વર્ષ પહેલા સમાજ, યુવાન અને ખેડૂતોના હિત માટે લડાઈ શરૂ કરી હતી. અને હવે ગુજરાતના 6 કરોડ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું. રાહુલ ગાંધીના વખાણ કરતા હાર્દિકે કહ્યું હતું કે રાહુલ ગાંધી તાનાશાહીની રાજનીતિમાં નથી માનતા.કોંગ્રેસ સાથે મળીને દેશને વધુ મજબુત બનાવીશું.
તો હાર્દિક પટેલ હાલ કોંગ્રેસનો નેતા છે અને કોંગ્રેસનો નેતા બન્યા બાદ હાર્દિક તાબડતોડ પ્રચાર કરતો જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે લોકોને હાકલ કરતો જોવા મળ્યો હતો. જો કે તેના પ્રચારની રાજ્યની જનતા પર કેટલી અસર થઈ તેતો 23મેએ જ ખબર પડશે.
પરંતુ હાર્દિકે મહેનતમાં કોઈ કસર ન છોડી. કોંગ્રેસ પાર્ટીએ પણ હાર્દિકનો ભરપૂર ઉપયોગ કર્યો. હાર્દિકની લોકપ્રિયતાનો ઉપયોગ કરવા અને વધુમાં વધુ સભાઓ હાર્દિક ગજવી શકે તે માટે હાર્દિકને હેલિકોપ્ટર પણ કોંગ્રેસે ફાળવ્યું હતું. કોંગ્રેસને હાર્દિક પાસેથી આશા હતી કે સવર્ણ મતબેંકમાં ગાબડુ પાડી તેને કોંગ્રેસ તરફી કરવામાં હાર્દિક મોટો રોલ ભજવશે. હાર્દિકે પણ અનેક સભાઓ કરી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
વિરોધનો કરવો પડ્યો સામનો
તો હાર્દિકને કારણે ક્યાંક પાટીદારોમાં વિરોધ પણ જોવા મળ્યો. એવા પણ સુત્રો લાગ્યા કે હાર્દિકે સમાજ સાથે દગો કર્યો. તો સુરેન્દ્રનગરની સભા દરમિયાન હાર્દિકે લાફો ખાવાનો પણ વારો આવ્યો. આ સાથે નિકોલમાં હાર્દિકની સભામાં પાટીદારોએ જ હોબાળો કર્યો હતો અને ખુરશીઓ ફેંકી હતી.
તો થોડા વર્ષો પહેલા હાર્દિક પટેલની એક હાંકલ પર લાખો પાટીદારો એકઠા થઈ જતા હતા અને તેનો ઉત્તમ પરચો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાયેલી સભા દરમિયાન જોવા મળ્યો હતો. હાર્દિકના એક અવાજ પર સમગ્ર રાજ્યમાંથી લાખો પાટીદારો GMDC ગ્રાઉન્ડમાં ઉમટ્યા હતા અને માહોલ એવો બન્યો હતો કે રાજ્ય સરકારને પરસેવો વળી ગયો હતો. GMDCમાં સભા થઈ ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આનંદબહેન પટેલ હતા અને કદાચ એવું કહીએ તો ખોટું નથી કે હાર્દિકના કારણે જ આનંદીબહેનને તેમનું મુખ્યમંત્રી પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ભાજપને વેઠવું પડ્યું હતું નુકસાન
તો આ જ હાર્દિક હતો કે જેના કારણે સ્થાનિક સ્વરાજ્યથી લઈને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટું નુક્સાન વેઠવું પડ્યું હતું. અને ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનેક જગ્યાએથી સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં અનેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોનો સમાવેશ થતો હતો. તો નગરપાલિકાઓમાં પણ ભાજપનો રકાસ નીકળી ગયો હતો.
હાર્દિકના પાટીદાર આંદોલને રાજ્યમાં એક નવી જ ક્રાંતિને જન્મ આપ્યો હતો. ગામે ગામ હાર્દિકના સમર્થનમાં રેલીઓ થતી હતી. સભાઓ થતી હતી. અને ભાજપના નેતાઓનો જોરદાર વિરોધ થતો હતો. પાટીદાર સમાજમાં હાર્દિક એક હીરો બની ગયો હતો.
એક રણબંકો લડવૈયો બની ગયો હતો. અને તેમાંય GMDC ગ્રાઉન્ડની સભા બાદ રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો બાદ તો હાર્દિકની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો હતો. તો તોફાનોને કારણે ક્યાંક હાર્દિકનો જોરદાર વિરોધ પણ થયો હતો. પરંતુ એટલું ચોક્કસ કહેવું પડે કે શાંત, શિક્ષત પાટીદાર સમાજને પોતાના હક માટે હાર્દિકે લડતા શિખવાડ્યું. સત્તા સામે બાથ ભિડવતા શિખવાડ્યું.
તો દેશ અને આપણા ગુજરાતમાં જે પરંપરા રહી છે તેમ આંદોલનમાંથી અનેક નેતાઓ નીકળ્યા. જેઓ પહેલા માત્ર પાટીદાર સમાજની વાત કરતા હતા અને બાદમાં કોઈને કોઈ પાર્ટીમાં સામિલ થઈ સમગ્ર ગુજરાતની જનતાની વાત કરતા જોવા મળ્યા. હાર્દિકના આંદોલનને કારણે અનેક આંદોલનકારીઓને નેતાજી બનવામાં સફળતા મળી. કોઈ આંદોલનકારી ભાજપમાં ગયો તો કોઈ કોંગ્રેસમાં જઈ ધારાસભ્ય બની ગયો. .તેમાં અનેક નામો છે. તે નામોનો ઉલ્લેખ કરવાની કદાચ અમારે જરૂર નથી.
લડવૈયો હાર્દિક હવે કોંગ્રેસમાં
બધા પાટીદાર આંદોલનકારીઓ કદાચ હવે સમાજના હિત માટે નહીં પણ પોતાના હિત માટે જ કામ કરી રહ્યા છે. તેઓ આંદોલનકારી નહીં પણ નેતાઓ બની ગયા. પહેલા જે સમાજના હતા તે હવે રાજકીય પાર્ટીઓના હાથા બની ગયા છે.
જેમાં હાર્દિક પટેલ પણ એક છે. લડવૈયો હાર્દિક હવે કોંગ્રેસમાં છે. અને કોઈ પાર્ટીમાં જવુ તે ખોટું પણ નથી. પરંતુ જે પ્રકારે જવું તે ખોટું છે. ત્યારે જોવું રહ્યું કે હાર્દિક કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી શકે છે. સાથે પોતે કેટલો ફાયદામાં રહે છે. અને પોતાના સમાજને કેટલો લાભ કરાવી શકે છે.