ઉનામાં વરસેલા ભારે વરસાદે તારાજી મચાવી છે. તો ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલી વાવણી પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે નલિયા માંડવી ગામમાં ખેતરો ધોવાયા છે. અહીં 200 હેક્ટરની જમીનમાં નુકસાન થયું છે. આ સિવાય ખેતરોમાં વાવેલા કપાસ મગફળી બાજરી સહિતના પાક ધોવાયા છે.
ઉલ્લેખનીય છે કે એમ કહેવામાં જરાય અતિશયક્તિ નથી કે એક હેક્ટર દીઠ ખેડૂતોને રૂ. 60 હજારનું નુકસાન થયું છે. ખેતરોમાં હજુ પણ કેડ સમાણા પાણી ભરાયેલા છે. તો ખેડૂતોએ પોતાના ખેતરમાં પાક મેળવવા માટે મંડળીમાંથી રુપિયા વ્યાજે લીધા હતા.
ત્યારે હવે તેમની મહેનત એળે ગઈ અને વરસાદી પાણી વિઘ્ન સાબિત થયું. મહત્વની વાત છે કે મછુદ્રી નદીના પાણીથી પાક ધોવાયો છે. ત્યારે હવે આ ખેડૂતો કેવી રીતે રૂપિયાની ચૂકવણી કરશે તે અને પરિવારનું જીવન નિર્વાહ ચલાવશે એ પ્રશ્ન સતાવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે રાજ્યમાં વરસાદની મોસમ જામી પડી છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં ભારે વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ફર્યા હતા. જેના કારણે તાજેતરમાં કરેલી વાવણીને મોટા પાયે નુકસાન થયા ખેડૂતો પાયમાલ થયા હતા. જો કે વરસાદ પડવાને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા.