રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવેથી શહેરી વિસ્તારોની હદમાં હેલમેટ મરજિયાત. જ્યારે આજથી બે મહિના પહેલાં મોટા ઉપાડે સરકારશ્રી જ સલાહ આપી રહી હતી કે હેલમેટ વગર તો રસ્તા પર અનેક લોકોના મોત થાય છે એટલે આ દંડની રકમ વધારી રહ્યા છીએ. શું આ નિર્ણય પાછળ કોઈ રાજકારણ તો નથી ને કે પછી હજુ પ્રજાનું જ હિત છે?
પ્રજાને હિતકારી નિર્ણય બે મહિનામાં નુકસાનકારી થઈ ગયો?
સરકારશ્રીએ એકાએક આ નિર્ણય લઈને શું સાબિત કર્યું
જે CM સાહેબને લોકોના મૃત્યુની ચિંતા હતી તેનું આજે શું થયું
આ નિર્ણય પ્રજા માટે હિતકારી કે નુકસાનકારી?
જ્યારે કેન્દ્ર સરકાર ટ્રાફિક દંડની રકમ વધારી ત્યારે રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી એવી જાહેરાત કરી કે લોકોની સુરક્ષા હેતુથી અને રસ્તા પર વધતાં મૃત્યુ આંકને ઘટાડવા આપણે સમગ્ર રાજ્યમાં હેલમેટ ફરજિયાત કરી રહ્યા છીએ. જોકે જે તે વખત પત્રકારોના પ્રશ્નમાં CM રૂપાણી એવું દ્રઢ પણે કહી રહ્યા હતા કે આ હેલમેટના નિયમથી પ્રજાની સુરક્ષા વધશે અને રોડ અકસ્માતમાં મૃત્યઆંક ધટશે. પરંતુ આજના નિર્ણયથી શું CM સાહેબનું આ દ્રઢ પણે કહેવાયેલું વાક્ય બદલી ગયું. શું સરકારશ્રી હવે હેલમેટ વગર લોકોના મોત નહીં થાય? કે પછી આ પ્રજાનો હિતકારી નિર્ણય.
શાકભાજી લેવાં જનારને હેલમેટથી અગવડતાં પડી રહી છેઃ આર સી ફળદુ
પરિવહનમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે હેલમેટ પહેરવાંથી પડતી અનેક અગડવતાઓ વિશે ઉગ્ર રજુઆતો આમારા સુધી પહોંચી છે. સામાજિક કાર્યો જેવા કે શાકભાજી લેવા જવું અને સ્મશાનયાત્રામાં જતાં ડાઘુઓને આ હેલમેટના ફરજિયાત નિર્ણયથી અગવડતાઓ પડી રહી છે. આથી ચારેય બાજુ આવી વિવિધ ઉગ્ર રજુઆતો બાદ રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજિયાત કર્યો છે.
લોકોને હેલમેટ પહેરવાથી અગવડતાં હતી કે દંડ ભરવાથી?
પરિવહનમંત્રી સાહેબ પ્રજાની આવી દલીલથી જો આપે હેલમેટ મરજિયાત કર્યો છે. જો કે લોકો તો એવી પણ રજુઆત લઈને આવ્યા હશે કે હેલમેટ પહેરવાથી મારા વાળ ખરી જાય છે. તો આવી દલીલો સાંભળી આપે આ નિર્ણય લીધો છે. જો કે પ્રજાને હેલમેટ કરતાં નિયમભંગનો દંડ વધારે અગવડતા આપી રહ્યો હતો. જો પ્રજાના દંડની વધુ રકમથી મુક્તિ આપવા આ નિર્ણય લીધો હોય તો અયોગ્ય છે. કારણ કે મૃત્યુદંડ કરતા ટ્રાફિક દંડ તો સારો. આ ઉપરાંત આ દંડની રકમમાંથી સરકાર લોકોને નવા હેલમેટ પણ આપી શકી હોત અથવા તો કોઈ સબસીડી જેવી યોજના પણ લાવી શકી હોત.
કેમ હેલમેટ મરજિયાત કરાયો?
જો કે સરકારશ્રીના અંગત સૂત્રો અને મહત્વના અધિકારીના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર પર પ્રજાનું પ્રેશર હતું કે તાત્કાલિક અસરથી હેલમેટનો કાયદો હટાવે. આ ઉપરાંત હેલમેટ ન પહેરનાર બાઈક ચાલક સાથે આરોપીઓની જેમ વર્તન કરતી પોલીસ પણ પ્રજાના ગુસ્સાનું કારણ બની હતી. સરકાર પર પ્રજાનું ઈનડાયરેક્ટ પ્રેસરથી આ નિર્ણય તરફ વાળ્યા છે.