લોકસભા ચૂંટણી દરમિયાન તમને કેદારનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટો જરૂરથી યાદ હશે, જેમાં તેઓ એક ગુફામાં ધ્યાન કરી રહ્યા છે.
હવે બાબા કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ઘાળુઓ પણ પ્રધાનમંત્રી મોદીના રસ્તે આગળ વધી રહ્યા છે. યાત્રીઓ 1500 રૂપિયા આપી ગુફાની અંદર 24 કલાક એકલા સાધના કરે છે. આ માટે ઑનલાઇન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ગુફા હવેના 10 દિવસ માટે અત્યારથી જ બુક થઇ ગઇ છે.
દહેરાદૂનના ગઢવાલ વિકાસ નિગનમાં મેનેજરે જણાવ્યુ કે, ''લોકોનો જે રિસ્પોન્સ આવ્યો તે ગજબ છે. અત્યાર સુધી 20 લોકો આ ગુફામાં રોકાઇ ચૂક્યા છે. દેશમાંથી મોટી સંખ્યામાં બુકિંગ થઇ રહ્યા છે. લોકો તેના વિષે જાણવા માંગે છે. બધા જ બુકિંગ ઑનલાઇન થઇ રહ્યા છે.'' તેમણે જણાવ્યુ કે, ગુફાની ડિમાન્ટ એટલી વધી ગઇ છે કે બીજી ગુફા બનાવવી જરૂર ઉભી થઇ રહી છે.
તેમણે આગળ કહ્યુ કે, આ કૃત્રિમ ગુફા ના હોવાથી બીજી ગુફા બનાવવા માટે સમય લાગશે. કુદરતી પથ્થરમાં થોડા થોડા ફેરફાર કરીને ગુફા બનાવવામાં આવે છે. રુદ્ર મેડિટેશન ગુફામાં 18 મેના રોજ નરેન્દ્ર મોદીએ ધ્યાન ધર્યુ હતુ. આ ગુફા કેદારનાથ મંદિરથી 1 કિમી ઉંચાઇ પર ડાબી તરફ આવેલી છે. આ અંતર ચાલતા ચાલતા કાપવુ પડે છે.
આ ગુફામાં એક વખતમાં એક જ વ્યકિત રહી શકે છે. જે લોકો ગુફા અંદર રહેવા ઇચ્છે છે તેમણે બુકિંગના 2 દિવસ પહેલા ગુપ્ત કાશી પહોંચવુ પડે છે. ત્યાં કેદારનાથનો બેઝ કેમ્પ છે. . ત્યાં તેમનો મેડિકલ ટેસ્ટ થાય છે. ત્યાર પછી શ્રદ્ધાળુઓએ પગપાળા અથવા તો હેલિકોપ્ટરથી મંદિર જવુ પડે છે. ત્યા બીજી વખત તેમનુ મેડિકલ ચેકઅપ થાય છે. એક વખતના ગુફામાં એક જ વ્યકિત રહી શકે છે.
જોકે આ ગુફામાં રહેતા કોઇ વ્યકિતને તકલીફ પડે તો તે ફોન કરીને મદદ માંગી શકે છે. બુકિંગ કેન્સલ કરાવવા પર રૂપિયા પાછા મળતા નથી. ગુફાની અદંર એક બેલ લગાવેલો છે. તે દબાવીને તમે ગુફાની દેખરેખ રાખતા વ્યકિતને બોલાવી શકો છો. ગુફાની અંદર રહેતા લોકોને વીજળી, પાણી, ચા અને ભોજનની સુવિધા મળે છે. આ ઉપરાંત પલંગ અને આરામ માટે રૂમ પણ ઉપલબ્ધ છે.