રાજકોટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સૌરાષ્ટ્રના કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાઈ શકે છે. સુત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ કુંવરજી આગામી એક બે અઠવાડિયામાં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. કુંવરજીએ પોતાના ખાસ લોકો સાથે આ મામલે ચર્ચા વિચારણા કરી છે અને ભાજપમાં જોડાવાના આડકતરા સંકેત પણ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે કુંવરજી ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપના કોળી નેતા તરીકે પ્રમોટ કરશે. તો એવી પણ સુત્રો દ્વારા જાણકારી મળી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સુરેદ્રનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને આ મામલે ભાજપ સાથે ચર્ચા વિચારણા પણ થઈ ગઈ છે.
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ કુંવરજીના તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. તો કુંવરજીને મનાવવા માટે જ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કારણ કે રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કુંવરજી બાવળિયા વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલતી હતી.
પરંતુ હવે જ્યારે ઈન્દ્રનીલે રાજીનામું આપી દીધુ છે ત્યારે કુંવરજી અને કોંગ્રેસ વચ્ચે વાતચીતનો રસ્તો ખુલ્યો છે. જો કે એવું પણ સુત્રો કહી રહ્યા છે કે કુંવરજી બાવળિયાએ ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે અને તેની વિધિવત જાહેરાત ગમે ત્યારે કરી શકે છે.