ગુજરાતના 16માં મુખ્યમંત્રી પદેથી એકાએક રાજીનામુ ધરી દઈને વિજય રૂપાણીએ સૌ કોઈને ચોંકાવી દીધા. ત્યારે પૂર્વ CM વિજય રૂપાણીએ VTV ન્યુઝ સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી છે.
રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણીનું મોટું નિવેદન
હાઇકમાન્ડના આદેશ બાદ રાજીનામુ આપ્યું : વિજય રૂપાણી
આગળના દિવસે રાત્રે રાજીનામુ આપવા મળી હતી સૂચના
રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે,જે ઘટનાઓ બની તેને હું ખૂબ સહજ રીતે જોવું છું. કોઈ મોટો ભૂકંપ થઈ ગયો કે, આશ્ચર્યજનક ઘટના છે એવું કાઈ જ નથી. પાંચ વર્ષ હાઈકમાન્ડ દ્વારા મને જે તક આપવામાં આવી છે. તે બદલ હું નરેન્દ્ર ભાઈનો તથા અમિત ભાઈનો આભારી છું કે, ગુજરાતની જનતાની સેવા કરવાની મને તક આપી, મને રાજીનામું આપ્યાનો કોઈ રંજ પણ નથી સંતોષપણ નથી.
આગળના દિવસે જ મને આપવામાં આવી હતી સૂચના
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ કહ્યું કે, આપણે પરિવર્તન કરી રહ્યા છીએ તો સ્વાભાવિક પરીવર્તનની પ્રક્રિયા છે. આવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, અન્ય કોઈ ન કરી શકે. હાઈકમાન્ડનો આદેશ મળ્યો અને મેં તેનું પાલન કર્યું છે અને રાજીનામુ આપ્યું છે. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
હાઈકમાન્ડના આદેશ બાદ રાજીનામુ ધરી દીધું હતું. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
અનેક યોજનાઓ મને જીવનભર યાદ રહેશે
પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, એવી અનેક યોજનાઓ છે જે મને જીવનભર યાદ રહેશે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં પાણીનો મોટો પ્રશ્ન આપણે પૂરો કર્યો છે. તો સેવા સેતૂ મારફતે નાના માણસને પોતના તમામ હકો અપાવ્યા છે.
પડકારરૂપ સમય કોરોનાની બીજી લહેર
કોરોનાની બીજી લહેરને પડકારરૂપ સમય ગણાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે, આ સમયગાળામાં સમગ્ર ગુજરાતની જવાબદારી મારા પર હતી. ત્યારે કોરોનાકાળમાં જે કામ કર્યું છે તે પડકાર રૂપ હતું.
મંત્રીમંડળ અને પરિવારજનોનો મળ્યો સંપૂર્ણ સહકાર
કાર્યકાળ દરમિયાન તમામ મંત્રી મંડળનો પૂરતો સપોર્ટ મળ્યો અને ઘરમાં તો બધાનો હોય જ છતાં પત્ની તથા બાળકોનો પુરતો સહકાર મળ્યો હોવાની વાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.
હું તો CM જ રહીશ
વિજય રૂપાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી હતો ત્યારે પણ CM હતો અને આજેપણ CM જ રહીશ. કારણ કે, CMનો અર્થ જ થાય છે કોમન મેન. તો અત્યારે પણ CM છું અને ભવિષ્યમાં પણ CM જ રહેવાનો છું.
સંવેદનશીલતા દરેક વ્યક્તિમાં રહેવી જોઈએ
પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ કહ્યું કે, સંવેદનશીલતા હોવી તે ગુનો નથી. દરેક વ્યક્તિમાં સંવેદનશીલતા હોવી જરૂરી છે અને જે વ્યક્તિમાં તે નથી તે વ્યક્તિ જ નથી.પીડિત કે શોષિત માટે વેદના થવી જ જોઈએ આવું હું ચોક્કસપણે માનું છું.