“અરે ભાઇ, તમે કોરોનાને એક-બે દિવસ ભૂલો. આ મારા ફેફસાંનો નહીં, વાવાઝોડાનો સેટેલાઇટથી લેવાયેલો ફોટો છે.”
- ફન દા'મેન્ટલ (પરાગ દવે)
એક મિત્રને વીડિયો કોલ કર્યો અને એક ઇમેજ બતાવી.
એ જોતાં જ તેણે કહ્યું, “ઓક્સિજન કેટલો રહે છે?”
“98-99 છે.”
“ઓહ, પણ તમે જલ્દી દવાખાને દાખલ થઇ જાવ કેમ કે આ ફોટો જોતાં તો લાગે છે કે ફેફસાંમાં 60-70 ટકા ઇન્ફેક્શન છે. બધે કફના ગૂંચળા દેખાઇ રહ્યા છે.”
“અરે ભાઇ, તમે કોરોનાને એક-બે દિવસ ભૂલો. આ મારા ફેફસાંનો નહીં, વાવાઝોડાનો સેટેલાઇટથી લેવાયેલો ફોટો છે.”
“અચ્છા. તો પણ તમે તો સાચવજો. ઘરના બારી-બારણાં બિલકુલ બંધ રાખજો. કોઇ વૃક્ષ નીચે કારને પાર્ક ના કરશો. જરૂરી વસ્તુઓ અને દવાઓ...”
એ પૂરું બોલી રહે એ પહેલાં મેં કહ્યું, “હા એ તો બધી ખબર છે. દોઢ વર્ષથી સાવચેતી રાખવા સિવાય બીજું કંઇ કરવાનું જ નથી.”
મોટી આફત આવે ત્યારે માનવમન નાની આફત ભૂલી જાય છે પણ આપણે એવી સ્થિતિમાં છીએ કે વાવાઝોડાંની આંખ નીચે પણ કોરોનાના કુંડાળા દેખાવા લાગે છે. 2020ના વર્ષની વિદાય વખતે સૌ હરખાયા હતા અને ઉત્સાહભેર 2021નું સ્વાગત કર્યું હતું પરંતુ આજે જો કોઇ ભૂલથી પણ એમ કહે કે 2021નું વર્ષ સારું છે તો લોકો એ બોલનારને દરિયાકિનારે મૂકી આવે.
વાવાઝોડાંની આંખમાં ધૂળ કે મરચું નાંખવું શક્ય નથી. વળી, વાવાઝોડાંને આંખ હોવા છતાં એ વાંચી શકતું હોય તેવી શક્યતા પણ ધૂંધળી છે. જો વાવાઝોડું વાંચી શકતું હોત તો તેને કન્ફ્યુઝ કરવા માટે આપણે દરિયામાં ઠેર-ઠેર દિવ કે પોરબંદરના અલગ-અલગ દિશા દર્શાવતા સાઇનબોર્ડ લગાવી દીધાં હોત. દિવ અને પોરબંદર જવાના અનેક જુદાં-જુદાં સાઇનબોર્ડ વાંચીને વાવાઝોડું ધીમું તો પડ્યું જ હોત અને ત્યારે જ એને પેલી વેબસાઇટમાં આપણે ઘમરોળી નાંખ્યું હોત. પણ શું કરીએ, વાવાઝોડું આંખ ધરાવતું હોવા છતાં વાંચી શકતું નથી. અનેક માનવીઓની આંખો પણ જેમ વાંચનના બદલે માત્ર વિડીયો ફોર્મેટને સપોર્ટ કરતી થઇ ગઇ છે એવું જ કંઇક વાવાઝોડાંનું લાગે છે.
બીજી બાબત એ પણ છે કે કોરોનાના કારણે ઘરની બહાર નહીં નિકળી શકવાની ફરિયાદ કરતા લોકો વાવાઝોડાંના કારણે સાવ કેદ થઇ ગયા. કેટલાકે તો કહ્યું પણ ખરું કે સારું છે કે કોરોના કેસની જેમ ગુજરાતમાં રોજના આઠ-દસ હજાર વાવાઝોડાં નથી આવતાં. અમારા રમણકાકા કહે છે કે એવા આઠ-દસ હજાર વાવાઝોડાં આવે તો બીજું તો કંઇ નહીં, પણ એ વાવાઝોડાંના નામ શું રાખવા અને કયા શહેરમાં કયા વાવાઝોડાંએ તબાહી મચાવી એ જ ખબર ના પડે ને? રમણકાકા તો એવું પણ કહે છે કે અરબ સાગર અને બંગાળની ખાડીની બને એટલી ઝડપથી કોઇ વિધિ કરાવવી જરૂરી છે કારણ કે એ બંનેના મનમાં સતત વાવાઝોડાંના કાવતરાં ચાલુ જ રહેતા હોય છે. મીઠું, માછલી અને મોતી આપીને આપણને રિઝવે છે પણ ગમે ત્યારે વાવાઝોડાં પણ મોકલી દે છે.
એક મિત્રએ તો હદ કરી નાંખી. એણે કહ્યું કે દર વખતે વાવાઝોડાંથી ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જ શા માટે નુકસાન ભોગવે? ક્યારેય આ વાવાઝોડાં અરબ સાગર કે બંગાળની ખાડીથી સીધાં જ મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ જેવા રાજ્યો પર કેમ નથી ત્રાટકતાં? દરેક રાજ્યોને રોટેશન પદ્ધતિ મુજબ દરિયાકિનારે મૂકવાં જોઇએ. એની વાત સાંભળીને અમારાં મોં મ્યુકરમાઇકોસિસ જેવાં થઇ ગયાં અને તાત્કાલિક જે માર્ગ મળ્યો ત્યાંથી બધા ભાગી છૂટ્યાં.
કોરોના અને વાવાઝોડું બંને એક સાથે આવવાથી મહાસંકટ ઊભું થયું છે પણ એ બંનેની પદ્ધતિ લગભગ મળતી આવે છે. લેખની શરૂઆતમાં કહ્યું એ મુજબ કોરોના અને વાવાઝોડાં એ બંનેની ભયાનકતાનો ખ્યાલ ફોટો પરથી જ આવે છે. વુહાનમાં જન્મેલો કોરોના મોં કે આંખથી શરીરમાં પ્રવેશે છે અને આંતરિક અવયવોને નુકસાન પહોંચાડે છે એ જ પ્રકારે તૌકતેએ અરબ સાગરમાં છેક દક્ષિણથી શરૂઆત કરી અને દીવ પાસેથી ગુજરાતમાં પ્રવેશીને અમદાવાદ સુધી કેટકેટલું ઉડાવ્યું. વળી, બંને વિદાય થયા બાદ પણ કેટલાય દિવસો સુધી અશક્ત બનાવતાં જાય છે.
જે લોકો સામાન્ય લક્ષણો સાથે કોરોના પોઝિટિવ છે એમને આ વાવાઝોડાંએ ચિંતક બનાવી દીધાં છે. અમારા એક મિત્રનો અચાનક ફોન આવ્યો.
“આ વખતનું વાવાઝોડું તો ખરેખર કોઇ કારણ વગર જ આવ્યું છે.” એમણે કહ્યું.
“તો અગાઉના વાવાઝોડાં કોઇ કારણથી આવ્યાં હતા?” આશ્ચર્યના કારણે મેં પૂછ્યું.
“એ તો ખબર નહીં, પણ આ વખતે હું વાવાઝોડાં વિશે વિચારવા માટે પૂરતો સમય ધરાવતો હતો એથી આ બાબત મારા ધ્યાનમાં આવી.”
“કેમ તમે એટલાં નવરાં હતા આ વખતે?”
“લે, હું તો પોઝિટિવ આવ્યો છું ને. આજે સાત દિવસ થયાં.”
“ઓહો એમ, હવે કેવું છે?”
“અરે, આપણને કોઇ તકલીફ જ નથી. પહેલાં બે દિવસ થોડો તાવ હતો. પછી કોઇ સિમ્ટમ્સ છે જ નહીં. મારાં બીજા ચાર મિત્રોને પણ આ જ રીતે કોરોના થયો હતો અને દસ દિવસમાં તો એ તમામનો કોરોના નેગેટિવ આવી ગયો હતો. હું પણ હવે બે-ત્રણ દિવસમાં ટેસ્ટ કરાવી આવીશ.”
“સાચવજો હો. આ ઘણી ગંભીર બાબત કહેવાય.”
“લો બોલો, એકદમ સારું છે એ ગંભીર બાબત?”
“હા, અત્યાર સુધી અરબ સાગરમાં આવતા વાવાઝોડાં પણ છેલ્લી ઘડીએ ગુજરાતના દરિયાકાંઠાથી થોડે દૂર ટપ્પો ખાઇને સ્પિન થતાં અને ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઇ જતાં. પણ જેમ આ તૌકતે ટપ્પો ખાધાં પછી સ્પિન થવાના બદલે સ્કિડ થઇને ઘૂસી ગયું એવું જ કોરોનાનું છે.” હું પણ અચાનક સલાહકારના રોલમાં આવી ગયો હતો.
મારી સલાહ પૂરી થાય એ પહેલાં એમણે કહ્યું કે, “કોરોના વિશે આપણે સૌ હવે ઘણું જાણીએ છીએ અને મને ચોક્કસ સારું થઇ જશે પણ વાવાઝોડાંમાં તમારે કેવી રીતે સાચવવું તેની સલાહ આપવા મેં ફોન કર્યો છે.”
વાવાઝોડાંમાં કેવી રીતે સાચવવું તેની સલાહ ફરી વખત મળશે એ ડરે મનને ઘમરોળી નાંખ્યું, પણ બીજો વિચાર એ પણ આવ્યો કે માસ્ક, રેમડેસિવિર, ટોસિલિઝુમેબ, એચઆરસીટી, સીઆરપી, મ્યુકરમાઇકોસિસ જેવા શબ્દોથી ઘેરાયેલા લોકોને તૌકતે કે તોઉ તે, વાવાઝોડાંની આંખ, લેન્ડફોલ, ડીપ ડિપ્રેશન જેવા નવાં શબ્દોના કારણે કંઇક બદલાવ તો મળ્યો. વાવાઝોડાંએ જે નુકસાન કર્યું છે એ અત્યંત પીડાદાયક છે પરંતુ આપણાં અરબ સાગરનું વાવાઝોડું ચીનના વુહાનના કોરોના કરતાં વધારે સારું એ રીતે છે કે માત્ર 48 કલાકમાં એ રવાના થઇ ગયું છે...