ઈન્સપેક્ટરના ટેબલ પર બેસીને ખાઈ રહ્યાની તસવીર વાયરલ
બ્રાહ્મણોની સામે વિવાદીત નિવેદન આપવા બદલ છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલના પિતા નંદુકુમાર બઘેલની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટે તેમને 14 દિવસ જેલમાં મોકલી આપ્યા છે.
ધરપકડ બાદ નંદકુમાર બઘેલને પોલીસ કસ્ટડીમાં લઈ જવાયા હતા. પોલીસ સ્ટેશનમાં તેમને જમવાનું અપાયું અને તે પણ ઈન્સપેક્ટરના ટેબલ પર, અને તેમણે ટેબલ પર બેસીને જ ભોજન કર્યું. ટેબલ પર બેસીને ભોજન કરી રહ્યાંનો ફોટો વાયરલ થયો અને લોકોએ જાતજાતની કોમેન્ટ આપી હતી.
કેટલાક લોકો આ ઘટનાને અભૂતપૂર્વ ગણાવી રહ્યાં છે તો બીજા કેટલાક લોકો તેને યોગ્ય ગણાવી રહ્યાં છે. યૂઝર્સનું કહેવું છે કે મુખ્યમંત્રીના પિતા હોવાને નાતે તેમની મહેમાનગતિ કરવામાં આવી રહી છે. તો બીજા યૂઝર્સના વર્ગે જણાવ્યું કે તમામ રાજ્યોની પોલીસે આવો વ્યવહાર કરવો જોઈએ કારણ કે આરોપ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ દોષી ઠરતું નથી.
પોલીસે દિલ્હીમાંથી ધરપકડ કરીને તેમને રાયપુરની કોર્ટમાં રજૂ કર્યાં હતા. રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. એફઆઈઆર નોંધાયા બાદ તેમની ધરપકડ થવાનું નિશ્ચિત હતું. નંદકુમાર બઘેલે લખનઉમાં બ્રાહ્મણ સમાજની વિરૃદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેમના નિવેદનથી બ્રામણ સમાજમાં રોષ ફેલાયો હતો. એફઆઈઆર નોંધાયા બાદ રાયપુર પોલીસ ધરપકડ કરવા માટે નીકળી ગઈ હતી. પોલીસ દિલ્હીથી ધરપકડ કરીને તેમને રાયપુર લઈ ગઈ હતી.
શું કહ્યું હતું બઘેલના પિતાએ
મુખ્યમંત્રીના પિતા નંદકુમારે બઘેલે લખનઉમાં કહ્યું હતું કે હું ભારતના તમામ ગ્રામીણોને કહેવા માગું છું કે બ્રાહ્મણોને ગામમાં પેસવા ન દેતા. હું દરેક સમુદાય સાથે વાત કરીશ જેથી કરીને અમે તેમનો બહિષ્કાર કરી શકીએ. તેમને વોલ્ગા નદીના તટ પર પાછા મોકલવાની જરુર છે. બ્રાહ્મણ પરદેશી છે, વિદેશી છે. જે રીતે અંગ્રેજો આવ્યા અને જતા રહ્યાં તેવી રીતે આ બ્રાહ્મણ સુધરી જાય અથવા તો ગંગાથી વોલ્ગા જવા માટે તૈયાર થઈ જાય.