રાજકોટના કરણપરાનુ ભાજપ કાર્યાલય વેંચવા મુદ્દે રુપાણીએ કહ્યું કે, તમે શહેર પ્રમુખને જ પૂછો પણ મારી અનેક યાદો જોડાયેલી છે, હું સીએમ હતો ત્યારે ત્રણ ચાર વખત અહીં બેઠક કરી છે
એક સમયે રાજકોટમા ભાજપ પાસે કાર્યાલય હતુ જ નહી,નાગરિક બેંકમા બેઠકો કરતા.
98ની ચૂંટણીમા સરકાર બની ત્યારે રુપાલા મહામંત્રી હતા તેમણે કર્યું હતુ ખાતમુહૂર્ત
મોદી કે અટલજી આવ્યાં નથી પણ હું સીએમ હતો ત્યારે ત્રણ ચાર વખત મુલાકાત લીધી: રુપાણી
ગુજરાત રાજકારણની પાઠશાળા ગણાતા રાજકોટમા ભાજપ કોઇ પણ ચૂંટણી હોય ત્યાંજ બેઠક કરતા એ કરણપરાનુ ભાજપ કાર્યાલય હતુ જો કે, હવે તો નવા 150 ફૂંટ રીંગ રોડે મિની કમલમે આકાર લઇ લીધો છે અને શરુ પણ થઇ ગયું છે પણ કરણપરાના કાર્યાલયે બેસીને ભાજપે અનેક રાજકીય દાવપેચ ખેલ્યાં છે તે વાત પણ સાચી છે જો કે, જૂના કાર્યકરોને વસવસો થાય તેવા સમાચાર મળી રહ્યાં છે કે, ભાજપ હવે સર્વે કરાવીને આ કાર્યાલય વેંચી નાખવાની છે.
દરેક કાર્યાકરોએ યથાશક્તિ મુજબ પૈસા આપી આ ઉભું કરાયું હતું: રૂપાણી
આ મુદ્દે માર્કેટ વેલ્યુએશનનુ સર્વે કરવામા આવી રહ્યું છે આશરે આ બિલ્ડીંગની કિંમત બે કરોડ આસપાસ આંકવામા આવી રહી છે. પરંતુ જૂનાજોગીઓ માટે આ કાર્યલાય સાથે અનેક સંભારણા જોડાયેલા છે. કાર્યાલય વેંચવા મુદ્દે રુપાણીએ કહ્યું હતુ કે, એ મુદ્દે તમે શહેર પ્રમુખને જ પૂછો પણ મારી અનેક યાદો જોડાયેલી છે. હું સીએમ હતો ત્યારે ત્રણ ચાર વખત અહીં મિંટીગ કરી છે, એ સિવાય 1998માં ચૂંટણી જીત્યા એ સમયે દરેક કાર્યાકરોએ યથાશક્તિ મુજબ કોઇ પાંચ હજાર તો કોઇ પંદર હજાર આપ્યા પચાર હજાર સુધી એક વ્યકતિએ આપ્યાં છે. જેમાથી કરણપરા કાર્યાલય ઉભુ કરવામા આવ્યું છે. ભાજપ પાસે શરુઆતમા કોઇ કાર્યલય હતુ જ નહી. દાયકાઓ પહેલા એસ ટી બસ સ્ટેન્ડ સામે સંઘની એક ઓરડા વાળી ઓફિસ અને કાર્યલય કહો તો એ જ હતું. ત્યારબાદ ચૂંટણી દરમિયાન કોઇ નાની મોટી બેઠક કરવાની હોય તો અમે નાગરિક બેઠકના હોલ કે રુમમા કરી લેતા હતાં. ત્યારબાદ કરણપરામા જ કાર્યાલય એક મકાનમાં ખોલવામા આવ્યુ જ્યારે રાજ્યમાં ભાજપા પક્ષ આવ્યા એ સમયે આ કાર્યાલય પણ બંધ કરવામા આવ્યુ. ત્યાર બાદ 98ની ચૂંટણી આવી અને પછી આ કરણપરા કાર્યાલયની જમીન લીધી અને દરેક કાર્યકરોએ યથાશક્તિ મુજબ પૈસા કાઢ્યા અને આખુ બિલ્ડીંગ ઉભુ થયું. હાલ તો નવા દોઢ સો ફૂટનો રોડે બન્યું અને ધીમે-ધીમે વિસ્તાર પણ વધતો ગયો છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનું નિવેદન
આ મૂદ્દે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે આ બિલ્ડિંગના માર્કેટ વેલ્યુ બાબતે સર્વે ચાલી રહ્યો છે અને તે પૂરો થયા પછી વિધિવત દરખાસ્ત પ્રદેશ ભાજપમાં મોકલવામાં આવશે. શહેર ભાજપ કાર્યાલય બિલ્ડીંગની માલિકી કોઈ વ્યક્તિની નહીં પરંતુ પંડિત દિન દયાલ ટ્રસ્ટના નામે છે અને તેનું સમગ્ર સંચાલન પ્રદેશ ભાજપમાં સુરેન્દ્ર કાકા સંભાળી રહ્યા છે.
ચૂંટણી પહેલા જ જૂનું કાર્યાલય બંધ કરી દેવાયું હતું
150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક બસ સ્ટેન્ડ નજીક 2600 ચોરસ મીટર જગ્યામાં પાંચ માળનું ભાજપનું નવું કાર્યાલય બનાવ્યા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ જૂનું કાર્યાલય બંધ કરી દેવાયું હતું અને અહીં રાખવામાં આવેલી ફાઈલ તથા અન્ય દસ્તાવેજો નવા કાર્યાલયમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનનું કાર્યાલય બની શકે તે મુજબ નવું કાર્યાલય બનાવવામાં આવ્યું છે અને તેની પાછળ જમીન ખરીદીમાં રુ.18 કરોડ અને બાંધકામમાં 10થી 12 કરોડનો ખર્ચ થવા પામ્યો છે. નવું કાર્યાલય બની ગયા બાદ કરણપરામાં આવેલા જૂના કાર્યાલયનો કોઈ ઉપયોગ પણ થતો નથી અને અત્યારે તે બંધ હાલતમાં છે. કરણપરાનું ભાજપનું જૂનું કાર્યાલય શહેરની મધ્યમાં હોવાનો મૂદ્દો તેના માટે પ્લસ પોઇન્ટ છે. તો બીજી બાજુ વાહન પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાના કારણે મોટાભાગે લોકો શહેરના ગીચ વિસ્તારમાં મિલકત ખરીદવાનું ટાળતાં હોય છે. આવા જ કારણોસર રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનું કરણપરામાં બસ સ્ટેન્ડની બરાબર પાછળના ભાગે આવેલું બિલ્ડીંગ ઘણા સમયથી બિન ઉપયોગી હોવા છતાં તેના ખરીદદાર મળતા નથી. હવે આ યાદગાર ભાજપ કાર્યલયનુ શુ થશે તે જોવુ રહ્યું.