ભાવનગરઃ નારીથી અધેલાઇ વચ્ચે 32 કિલોમીટર લાંબા નવા બનનારા ફોર ટ્રેક રોડનું ખાત મહુર્ત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
અહીં તેમને લોકોને સંબોધતા જણાવ્યુ હતું કે નેતાને પસંદગી કરતી વખતે જાતી કે ધર્મ ન જોવો જોઈએ. ભાવનગરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપરાંત રાજ્યપાલ ઓ.પી.કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણી ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજ્ય ગુહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભાજપ પ્રદેશ જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રી વિભાવરી દવે સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.
રૂપિયા 820 કરોડના ખર્ચે આ ફોર લેન માર્ગ બનાવાશે. અહી કાર્યક્રમ સ્થળે જ ઉપરાષ્ટ્રપતિના હસ્તે ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથો સાથ ભાવનગર અને મહુવામાં તૈયાર થયેલ 1200 જેટલા મુખ્યમંત્રી આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અહીં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા લિખિત પુસ્તિકા માય જર્ની ઓફ પાર્લામેન્ટનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ તેમના ટુકા પ્રવચનમાં જણાવ્યું હતું કે આ ફોર લેન માર્ગના કારણે ભાવનગર વિકાસની દ્રષ્ટીએ જંપ મારશે તેમને અહીં પ્લાસ્ટીક પાર્ક માટે 151 એકર જમીન ફાળવવાની જાહેરાત કરી હતી.
તો અહીં આવેલા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા બગોદરાથી લઈ ભાવનગર સુધીનો રોડ પણ ફોર લેન બનશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.