હાલ રાજ્યમાં અનલોકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. તો બીજી તરફ રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જોકે કેટલાક નેતાઓ કોરોનાને માત પણ આપી ચૂક્યા છે. વાવના ધારાસભ્યએ કોરોનાને મ્હાત આપી છે તો ભરતસિંહ હજુ સારવાર લઇ રહ્યા છે.
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોરોનાથી થયા સાજા
4 દિવસની સારવાર બાદ થયા સ્વસ્થ્ય
કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી અપાઈ રજા
રાજ્યમાં અનલૉક બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ સારવાર હેઠળ હતા. ગેનીબેન 4 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયા છે. જોકે હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ભરતસિંહની તબિયતમાં સુધારો
તો બીજી તરફ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો આવ્યો છે. વેન્ટિલેટર પર ઓક્સિજનની માત્રામાં ઘટાડો કરાયો છે. હાલમાં 50 ટકા ઓક્સિજન બહારથી અપાઇ રહ્યો છે. બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ પણ સુધારા તરફ છે. ભરતસિંહ સોલંકી છેલ્લા 4 દિવસથી વેન્ટિલેટર પર છે. મહત્વનું છે કે, સિમ્સ હોસ્પિટલમાં ભરતસિંહની સારવાર ચાલી રહી છે.
શંકરસિંહ વાઘેલા કોરોનાને આપી માત ચૂક્યા છે
મહત્વનું છે કે, આ અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે શંકરસિંહ વાઘેલા કોરોનાને માત આપી ચૂક્યા છે. શંકરસિંહ સ્વસ્થ થતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.