કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરાવવુ પોલીસની ફરજ છે પણ શું કોરોનાના નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે ? ગુજરાતમાં પોલીસની બેવડી નીતિ આવી સામે
વલસાડમાં રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ કાર્યવાહી
જાનૈયા સહિત વરવધુને કર્યા જેલભેગા
લગ્ન કરીને જઇ રહ્યા હતા તે સમયે પોલીસે કરી કાર્યવાહી
લગ્નમાં 150થી વધારે માણસો ન જોઇએ.. પણ મોટા માથાઓને તો બધી છૂટ. લગ્નમાં કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરવાનું,, પણ મોટા ગજના લોકોએ કંઇ કોરોના ગાઇડલાઇન પાળવાની હોય ? આવુ બની રહ્યુ છે ગુજરાતમાં. વલસાડમાં રાત્રિ કર્ફ્યુના ભંગ બદલ પોલીસે વરરાજા અને દુલ્હનને જેલ ભેગા કરી દીધા. નવ દંપત્તિનો પરિવાર પોલીસને વિનંતી કરીને થાક્યો પણ પોલીસે એક ન સાંભળી. વિદાય વેળાએ મોડુ થઇ ગયુ હોવાથી પોલીસે રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ ગુનો નોંધીએ નવ વરવધૂ સહિત પરિવારજનોને પોલીસ સ્ટેશન લઇ ગયા.
લગ્નની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં
રાજ્યમાં કોરોનાના કેસ વધતા મહાનગરો સહિતના અનેક જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વલસાડમાં રાત્રિ કર્ફ્યૂના નિયમોનું પાલન ન થતા વરરાજા સહિત જાનૈયાઓને પોલીસ સ્ટેશન જવુ પડ્યુ. રાત્રે 10 વાગ્યાથી પણ વધારે સમય થઇ ગયો હોવાથી વલસાડ પોલીસે ગાઇડલાઇન ભંગનો ગુનો નોંધીને દંપત્તિ સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. પરિણામે જાનૈયાઓ સહિત વરરાજા અને દુલ્હને રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવી પડી.
શું કહે છે વરરાજા
વરરાજાએ વીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યુ કે વિદાય કર્યા બાદ અમે અમારા ઘરે જઇ રહ્યા હતા તે સમયે પોલીસે અમારી કાર રોકી. અમને જેમ તેમ બોલવા લાગ્યા. મને લાફો પણ મારી દીધો. ડ્રાઇવરના મોબાઇલ અને લાયસન્સ લઇ લીધા અને પોલીસ સ્ટેશન લઇ ગયા. પોલીસ સ્ટેશનમાં માતા પિતા, મોટા પપ્પા, મોટી મમ્મી, ભાઇ ભાઇ , સાત વર્ષનો છોકરો અને અમે બંને જણાને પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યાં અઢી કલાક સુધી અમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા. પોલીસ સ્ટેશનમાં અમારી સાથે ખરાબ વર્તન કર્યુ. પરિવારે કહ્યુ કે વરરાજાની ગાડીને જવા દો અમે પોલીસ સ્ટેશન આવીએ. અમે વિનંતી કરી કે અમે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કર્યુ છે પરંતુ વિદાયમાં અમારે મોડુ થઇ ગયુ છે પરંતુ કોઇએ અમારી વાત સાંભળી નહી.
પોલીસની બેવડી નીતિ કેમ ?
અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જગદીશ ઠાકોરના ભાઇના લગ્ન હતા તેમાં મોટી સંખ્યામાં લોકોને બોાલાવવામાં આવ્યા હતા. કોઇએ માસ્ક પહેર્યુ ન હતુ. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યુ ન હતુ તેમ છતાં ત્યાં કોઇ કામગીરી કરવામાં ન આવી. બીજી તરફ સુરતમાં લવજી બાદશાહની દીકરીના લગ્નમાં પણ આવી જ રીતે કોરોનાના નિયમો નેવે મૂકી દેવાયા હતા. કોઇએ માસ્ક પણ પહેર્યુ ન હતુ, તેમ છતાં પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું માલેતુજારો અને નેતાઓ માટે કોઇ નિયમ નથી લાગુ પડતા..? નિયમો માત્ર સામાન્ય નાગરિક માટે જ છે.? માંડ બે પૈસા ભેગા કરીને લગ્ન પ્રસંગ કરતા હોય તેવા લોકોની વિનંતી કરે એ તમને કેમ દેખાતી નથી.? સામાન્ય લોકો આગળ વર્દીનો રોફ બતાવો છો પણ નેતાઓની લાપરવાહી પોલીસને શા માટે નથી દેખાતી ? નેતાઓને ત્યાં પ્રસંગ હોય ત્યારે ક્યાં જાય છે તમારી ફરજ.. ?પોલીસ શું વગ જોઇને ફરજ નિભાવે છે ? પોલીસની આવી બેવડી નીતિ શા માટે ?