ગુજરાતના છેવાડે આવેલા વલસાડમાં 36 હજાર હેક્ટર જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. જેમાં દર વર્ષે બે થી અઢી લાખ મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. જેને પગલે પૂરતું વળતર ન મળતા ખેડૂતોનો પણ મોહભંગ થઈ રહ્યો છે. બદલાતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણની અનિશ્ચિતતા, વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદથી કેરીના પાકને મોટા પાયે નુકસાન થાય છે. જેથી કંટાળી ગયેલા વાપીના નામધા ગામના પ્રગતિશીલ ખેડૂતે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે અને કેરીનું કવચ શોધી લીધું છે. બે ખેડૂતોએ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી પોતાની વાડીમાં પેપર બેગનો પ્રયોગ શરૂ કર્યો છે.
કેરીની ગુણવત્તામાં વધારો અને પાકનું મબલક ઉત્પાદન થઇ રહ્યું છે
આંબા પર ફ્લાવશરગના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય ત્યારે પેપર બેગ કેરીના ફળ પર લગાવી દેવામાં આવે છે. આ પેપર બેગના ઉપયોગથી કેરીને ઠંડી-ગરમી, વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદ અને રોગથી પણ બચાવી શકાય છે. એટલું જ નહીં પેપર બેગ લગાવ્યા બાદ કેરીની ગુણવત્તામાં પણ વધારો થયો છે અને પાકનું પણ મબલક ઉત્પાદન થઇ રહ્યું છે. નામધા ગામના બન્ને પ્રગતિશીલ ખેડૂતોના આ નવતર પ્રયોગથી કેરીના પાકમાં વધારો થયો છે. એટલું જ નહીં કેરી પર મોંઘી દવાના છંટકાવનો ખર્ચથી પણ બચી શકાય છે. અન્ય ખેડૂતો પણ આ વાડીની મુલાકાત લઈ રહ્યા છે. અને આ પ્રયોગને અનુસરીને કેરીને બચાવવા માટે પેપર બેગનો ઉપયોગ કરી રહ્યા છે.
પેપર બેગનો પ્રયોગ કરવા અન્ય ખેડૂતો પણ આગળ આવ્યા
છેલ્લા પાંચ વર્ષથી કેરીમાં થતા નુકસાનથી બચવા માટે ખેડૂતે આ પ્રયોગ હાથ ધર્યો હતો. જોકે જિલ્લાના અનેક ખેડૂતો કેરીનો પાક છોડીને અન્ય પાક તરફ વળવાનું વિચારી રહ્યા હતા. તેવા સમયે અશોક દેસાઈ અને અવિનાસ દેસાઈ આવા ખેડૂતો માટે આશાનું કિરણ બન્યા છે અને હવે પેપર બેગનો પ્રયોગ કરવા અન્ય ખેડૂતો પણ આગળ આવ્યા છે. ત્યારે આ પહેલ કેરીના પાક ક્ષેત્રે ક્રાંતિ સર્જે તો નવાઈ નહીં! જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.