વડોદરાના તરસાલી વિસ્તારમાં મ્યુનિસિપલ દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું અને દૂષિત હોવાના કારણે હવે શહેરીજનો સ્વચ્છ પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે. જેના કારણે શહેરમાં પાણીના વેપારીઓનો પણ વેપાર વધ્યો છે.
વડોદરા શહેરમાં પાણી લેવા માટે સવારથી જ લોકોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. મહત્વનું છે કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતુ. શહેરમાં રોગચાળો વધતાં લોકો હવે સ્વચ્છ પાણી ખરીદી રહ્યા છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ ટાંકીની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરમાં દૂષિત પાણીના કારણે વધુ એક યુવકનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના સલાટવાડાના બાવનચાલમાં સતીષ સોલંકી નામના યુવકનું મોત નિપજ્યું છે.
જો કે મૃતકના પરિવારજનોએ દૂષિત પાણીના કારણે મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે આ અગાઉ ફતેહપુરામાં દૂષિત પાણીના કારણે એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે વડોદરામાં આજવા નિમેટા પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે અને આ પાણી ડહોળું હોવાના કારણે વારંવાર સંપ અને ટાંકી સાફ કરાવવાની ફરજ પડી રહી છે.
જેના કારણે ડહોળુ અને દૂષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. જ્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા હાથ પર હાથ મુકીને બેસી રહ્યું છે અને હજુ પણ વધુ લોકોના મોતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.