વડોદરા મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં જોવા મળી છે. નગરપાલિકા દ્વારા અંધેર નગરીની જેમ જંગલમાં એક નહી પરંતુ 2 બ્રિજ બનાવવામાં આવ્યા હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી પર સીમા વિસ્તારને હરણી વિસ્તારથી જોડતો બ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મામલે કોર્પોરેશન દ્વારા 2014માં બહાર પાડીને ઊંઝાના સોના બિલ્ડર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટ આપ્યાના 4 વર્ષ થઈ ગયા બાદ હજી સુધી બ્રિજનું કામ પૂર્ણ થયું નથી અને આ બ્રિજનું કામ આગામી બે વર્ષ સુધી કામ પૂર્ણ થાય તેવુ પણ લાગી રહ્યું નથી. આ બ્રિજ બન્યા બાદ 10 થી 12 કિલોમીટરનુ અંતર માત્ર 2.5 કિલોમીટરમાં પહોંચી શકાશે.
તો બીજી તરફ 2012માં કોર્પોરેશનના વહીવટકર્તાઓએ રાજ્ય સરકાર પાસે ટી.પીની મંજૂરી માંગણી કરી હતી પરંતુ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી.મંજૂરી ન મળી હતી હોવા છતાં કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડી માંજલપુરથી અટલાદરાના બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ કોર્પોરેશન દ્વારા મહેસાણાના મેં અવધૂત કન્સલ્ટન્ટ કંપનીને આપાવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે કોન્ટ્રાક્ટ આપ્યાના 6 વર્ષ થયા બાદ પણ હજી સુધી બ્રિજની બન્ને તરફ જમીન સંપાદન બન્યુ નથી.આ મુદ્દે શહેરના મહાનગર પાલિકાના વિપક્ષના નેતાઓ કોર્પોરેશનના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. આ મામલે મેયર ભરત ડાંગર જવાબ આપવા માટે ઇનકાર કરી રહ્યા છે.