જનતાની સેવા માટે જનપ્રતિનિધિઓ પાસે મોબાઈલ હોવા જરૂરી છે. પરંતુ શોખ ખાતર મોબાઈલ બદલતા રહેવા અને તિજોરી પર ભારણ વધારતા રહેવું તે યોગ્ય નથી. આવા જ એક કિસ્સાના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર વિવાદમાં આવી છે. કોર્પોરેટરોએ નાગરિકોના વેરાના પૈસાથી ખરીદેલા લાખો રૂપિયા મોબાઈલ કોર્પોરેશનના સ્ટોર રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે. એક આરટીઆઈમાં થયેલા આ ખુલાસા બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે.
કેટલાય જનતાની તિજોરીમાંથી ખરીદેલા 14 લાખના ફોન ધૂળ ખાઈ રહ્યા છે
જનતાના 14 લાખ રૂપિયા ફોનમાં સલવાઈ ગયા છે
સત્તાધીશોને આ ફોનનો નિકાલ કરી જનતાના નાણા પરત કેમ લાવવા તેની ગતાગમ નથી
ટેબલ પર પથરાઈને પડેલા મોંઘાદાટ મોબાઈલના આ દ્રશ્યો જોઈને તમે એવું ન માની લેતા કે આ કોઈ મોબાઈલની દુકાન હશે. હકીકતમાં મોંઘાદાટ આ મોબાઈલ કોઈ દુકાનમાં નહીં પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનના સ્ટોરરૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં આ મોબાઈલ વડોદરા કોર્પરેશના અધિકારીઓ અને કોર્પોરેટરોએ ખરીદ્યા હતા. પરંતું તે સમયે પ્રજાના પૈસાના વેડફાડ પર સવાલો થતાં અધિકારીઓ અને કોર્પોરેટરોએ ફોન જમા કરાવી દીધા હતા.
RTIમાં ખુલાસો
એક આરટીઆઈમાં થયેલા ખુલાસા પર નજર નાખીએ તો. 2009થી 2019ના ગાળા દરમિયાન 36 મોબાઈલ ખરીદવામાં આવ્યા હતા. આ 36 મોબાઈલની ખરીદી માટે સરકારી તિજોરીમાંથી 14 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ વિપક્ષના વિરોધ બાદ અધિકારીઓએ 36 મોબાઈલમાંથી 21 મોબાઈલ સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરાવી દીધા હતા. જ્યારે 7 મોબાઈલ ઓફિસમાં જમા કરાવ્યા હતા. અન્ય 4 મોબાઈલ બાઈબેક કરી પરત કરવામાં આવ્યા હતા. એક તરફ વડોદરાની જનતા અસુવિધાઓ વચ્ચે પિસાઈ રહી છે. લોકો પર ટેક્સનું ભારણ વધી રહ્યું છે તેવા સમયે જનતાના સેવકોએ ખરીદેલા ફોનથી વિપક્ષને પ્રહાર કરવાનો મોકો મળ્યો હતો.
36 મોબાઈલની ખરીદી માટે સરકારી તિજોરીમાંથી 14 લાખનો ખર્ચ
લિસ્ટમાં વડોદરાના એ અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટરોના નામ છે જેમણે જનતાના ટેક્સની તિજોરીને પોતપોતાની શક્તિ અને આવડત મુજબ હળવી કરવાનું શરૂ કર્યું હતું. આ લિસ્ટ માત્ર આરટીઆઈનો જવાબ નથી. પરંતુ લિસ્ટ વીએમસીમાં બેસતા ચૂંટાયેલા સેવકોની વૃત્તિનો જીવતો જાગતો નમૂનો છે. આપને થશે કે હવે તો ફોન જમા બોલે છે ત્યારે આ વાતનો શો મતલબ? પરંતુ ખરી રીતે તો જનતાનો મતલબ હવે શરૂ થાય છે, કેમકે છેલ્લાં કેટલાય જનતાની તિજોરીમાંથી ખરીદેલા 14 લાખની કિંમતના ફોન ધૂળ ખાઈ રહ્યા છે. એક પ્રકારે જનતાના 14 લાખ રૂપિયા ફોનમાં સલવાઈ ગયા છે. પરંતુ સત્તાધીશોને આ ફોનનો નિકાલ કરી જનતાના નાણા પરત કેમ લાવવા તેની કશી ગતાગમ નથી.
વડોદરાની જનતાના 14 લાખ રૂપિયાને શાસકોએ વળતર વિનાના બનાવી દીધા છે. ત્યારે હવે કેટલાક સામાજિક કાર્યકરો સામે ચાલીને ધૂળખાતા એ ફોન કોર્પોરેટરો અને અધિકારીઓને પરત કરવા ઈચ્છી રહ્યા છે. હવે એ જોવાનું રહે છે કે, વીએમસીના શાસકો એ મોબાઈલનો સ્વીકાર કરે છે કે પછી તેનો નિકાલ કરી જનતાની તિજોરીમાં પરત પૈસા જમા કરાવે છે.