વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિની સવારી નીકળી છે. ખંડેરાવ માર્કેટથી રાજવી પરિવારના ગણેશજીની શાહી સવારી નીકળી છે. લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. જેમાં ભગવાન ગણેશને રજવાડી સમયના આભૂષણોનો શણગાર કરાયો છે.
વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા 81 વર્ષથી પેલેસમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ સંપૂર્ણ માટીમાંથી એક જ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે.
ગણેશજીની મૂર્તિનો વજન 90 કિલો અને 81 ઇંચની ઊંચાઇ છે. પેલેસના દરબાર હોલમાં ગણેજીની સ્થાપના કરવામાં આવશે. ગણેશજીને રજવાડી આભૂષણોથી શણગારવામાં આવી રહ્યા છે.
આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે આજે રાજ્યભરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. રાજ્યમાં વાજતે ગાજતે ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.
દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં લાખો જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મહાનગરોમાં તમામ સોસાયટીઓમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવે છે.
ગણેશપુરા ખાતે ગણેશ ચતુર્થીનું અનેરુ મહત્વ
અમદાવાદના ગણેશપુરામાં ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. કોઠ ગામના ગણેશપુરામાં સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિ વિનાયકના દર્શન માટે હજારો ભક્તો દૂર દૂરથી આવે છે. ત્યારે 10 દિવસ સુધી મંદિરમાં વિશેષ પૂજન કરવા આવ આવશે. 10 દિવસ સુધી લાખો ભક્તો માટે ફળાહાર અપાશે. અને 10માં દિવસે કોઠ ગામમાં ગણપતિની શોભાયાત્રા પણ નીકળશે.
અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. લોકોએ પોતાના ઘરોમાં અને પંડાલોમાં અલગ-અલગ થીમના આધારે ગણેશજીની સ્થાપના કરી છે. આ સાથે જ પંડાલોમાં ફાયર સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.