બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના ચાર શહેરોમાં દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને ભારે ચર્ચાઓ વચ્ચે વિવાદનો મધપૂડો પણ છેડાયો છે. એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન થઈ રહ્યું છે તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે થોડા દિવસ અગાઉ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનાર સુરતના હીરાના વેપારી અને અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતા જનક બાબરીયાએ યુ-ટર્ન લીધો છે. તેમણે પત્ર લખીને કહ્યું કે, 'હું વિવાદ સમાપ્ત કરવા માંગુ છું'
પત્રમાં લખ્યું- મારા ચેલેન્જ બાદ વિવાદ વકર્યો
2 કરોડના હીરાની ચેલેન્જ આપનાર હીરા વેપારી જનક બાબરીયાએ મીડિયાને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, 'આગામી દિવસોમાં ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબાર યોજવાના છે, જેને લઈને અમને એવું લાગ્યું કે ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવવા જઈ રહી છે. જેને લઈને અમે સોશિયલ મીડિયા તથા મીડિયા દ્વારા એક ડાયમંડના પેકેટને લઈને ચેલેન્જ કરેલી, જેથી ગુજરાતભરમાં શાસ્ત્રી મહારાજના ભક્તો અને ચમત્કાર, અંધશ્રદ્ધામાં નહીં માનનારા વચ્ચે એક મોટો વિવાદ વકર્યો છે. આ વિવાદથી ગુજરાતની શાંતિનો માહોલ બગડે એવું લાગી રહ્યું છે.'
હું વિવાદ સ્થગિત કરી રહ્યો છુંઃ જનક બાબરીયા
તેઓએ પત્રમાં વધુમાં લખ્યું છે કે, 'જ્યારથી વિવાદ વકર્યો ત્યારથી સતત મારા પર ફોન અને મીડિયા નિવેદન માટે સમય માંગી રહ્યું છે. જે સમય હું આપી શકતો નથી. સતત માનસિક થાક અનુભવી રહ્યો છું, જેથી હું આ વિવાદને અહીં સ્થગિત કરી રહ્યો છું.'
ધીરેન્દ્ર શાસ્ત્રીને ફેંક્યો હતો ખુલ્લો પડકાર
આપને જણાવી દઈએ કે, સુરતના હીરાના વેપારી અને અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતા જનક બાબરીયાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો .સુરતના હીરાના વેપારી જનક બાબરીયાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ''હું બાબાને ચેલેન્જ કરું છું કે 26, 27 મેના દિવસે જે દરબાર ભરવાનો છે તેમાં મને સ્ટેજ પર બોલાવીને ચમત્કાર/પરચા દેખાડે. હું સ્ટેજ પર 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ લઈને જઈશ. એમાં કેટલા નંગ (પીસ) હીરા છે એ પરચા દ્વારા બાબા જણાવી આપે તો બાબાની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી પેકેટ બાબાનાં ચરણોમાં અર્પણ કરીશ"
'ગુજરાતમાં આવા ઘણા બાબા આવી ગયા'
જનક બાબરીયાએ જણાવ્યું હતું કે, 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરતમાં દરબાર ભરાવાનો છે. જે દિવ્ય દરબારની અંદર ચમત્કાર, અંધશ્રદ્ધા અને દિવ્ય શક્તિની વાતો કરતા હોય છે એમનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ. 26 અને 27 તારીખે અમે અમારી ટીમ દ્વારા તેમનો વિરોધ કરવાના છીએ. અમે સરકારને પણ પત્ર લખવાની છીએ. અમે કલેક્ટરને પણ આ કાર્યક્રમને મંજૂરી ન આપવા આવેદન પત્ર આપવાના છીએ. અમે આગામી સોમવારના રોજ આખા ગુજરાતમાં આવેદન પત્રો આપવાના છીએ. ગુજરાતની પ્રજા ક્યારેય આવા અંધશ્રદ્ધા અને દિવ્ય ચમત્કારને સ્વિકારશે નહીં. ગુજરાતમાં આવા ઘણા બાબા આવી ગયા. થોડા સમય પહેલા ઢબુડી માં એક નામ ગુજરાતમાં ચર્ચામાં આવેલું, આશારામનું નામ પણ ચર્ચામાં આવેલું ત્યારે લોકોએ તેમને વખોડી કાઢ્યા છે. ગુજરાતીઓ બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકાર્યા છે, કારણ કે બજરંગદાસ બાપા અને જલારામ બાપાને ક્યારેય "દિવ્ય દરબાર" ભરવાની જરૂર નથી પડી.