કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ ગ્રેટર નોઇડાના ઈકોટેક વન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાના ઇકોટેક વન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આ લોકો વિરૂદ્ધ કેટલીક ગંભીર કલમો લગાવવામાં આવી છે. કેસ ગૌતમબુદ્ધ નગર પોલીસ તરફથી જ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંદાજિત 200 કાર્યકર્તાઓ સાથે હાથરસ જવા માટે DNDના રસ્તેથી નોઇડામાં પ્રવેશ કર્યો. જેમાં અંદાજિત 50 ગાડીઓ પણ કાફલામાં સામેલ હતી. તે કાફલામાં સામેલ તમામ લોકોને જનપદમાં કલમ 144 લાગૂ હોવા, કોવિડ-19ની સ્થિતિને અવગત કરાવતા આગળ ન જવાની અપીલ કરવામાં આવી, પરંતુ કાફલામાં સામેલ તમામ કાર્યકર્તા અને ગાડીઓની અવરજવરના નિયમોનું ઉલ્લંઘન કરાવતા અને સામાન્ય જનતા માટે અવરજવરમાં ખલેલ પહોંચાડતા ઝડપથી યમુના એક્સપ્રેસ વે તરફ જવા લાગ્યા.
એક્સપ્રેસ વે પર બે ગાડીઓ ટકરાઇ હતીઃ પોલીસ
પોલીસ તરફથી વધુ કહેવામાં આવ્યું છે કે, નોઇડા એક્સપ્રેસ-વે પર કાફલામાં સામેલ બે ગાડીઓ ટકરાઇ હતી. જ્યારબાદ યમુના એક્સપ્રેસ વેને ઝીરો પોઇન્ટ પર કાફલાને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા જ્યાં કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા પોલીસ સાથે ધક્કામુક્કી અને ઘર્ષણ થયું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યમુના એક્સપ્રેસ વે પર પોતાના કાર્યકર્તાઓ સાથે પગપાળા ચાલવા લાગ્યા, જેનાથી એક્સપ્રેસ વે પર બન્ને તરફ ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઇ ગઇ. જેમાં કેટલીક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી.
અમે તેમને કહ્યું કે, કલમ 144 લાગૂ છે અને તમે ઉલ્લંઘન કરી રહ્યા છોઃ પોલીસ
પોલીસનું કહેવું છે કે, જનપદમાં કલમ 144 લાગૂ છે અને વગર મંજૂરીએ એક્સપ્રેસ વે આટલી મોટી સંખ્યામાં આ લોકો જબરદસ્તી જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, અહીં પર કલમ 144 લાગૂ છે અને તમે ઉલ્લંઘન કરી રહ્યા છો. અમે લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિ બગડવાની પણ વાત કહી, પરંતુ તે લોકો પર કોઈ અસર ન થઇ. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 203 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જણાવી દઇએ કે, રાહુલ અને પ્રિયંકા ગાંધી હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારજનોને મળવા માટે હાથરસ જઇ રહ્યા હતા. પરંતુ તેમને ગ્રેટર નોઇડા એક્સપ્રેસ વે પર જ રોકી દેવામાં આવ્યા. પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. જોકે બાદમાં તેમને છોડી દેવાયા હતા. જ્યાર બાદ કોંગ્રેસના આ બન્ને નેતાઓ પરત દિલ્હી આવી ગયા અને આ પ્રકારે પોલીસ તેમને હાથરસ જતા રોકવા માટે સફળ રહી.