ઉત્તરપ્રદેશ પોલીસનું એક મોટું ભોપાળું બહાર આવ્યું છે જેમાં 11 પોલીસમેન સામે ફરિયાદ નોંધવામાં આવી છે પણ આ ઘટના વાંચીને તમે ચિંતામાં મુકાઇ જશો!
ઉત્તરપ્રદેશની પોલીસે એક ચોંકાવી મૂકે તેવું કારનામું કર્યું છે. તેમણે એક જીવિત દીકરીને મૃત બતાવીને તેના ભાઈ અને પિતા સહિત ત્રણ લોકોને જેલ મોકલી દીધા હતા.
આ કેસમાં 11 પોલીસ કર્મીઓ સામે કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે પ્રેમી સાથે ભાગી ગયેલી દીકરીને મૃત બતાવી દીધી હતી. મૃત બતાવેલી દીકરી દોઢ વર્ષ બાદ જીવિત જોવા મળી હતી.
સમગ્ર ઘટના
ખરેખર ઘટના જાણે એમ બની હતી કે અમરોહાનાં આદમપુર પોલીસ સ્ટેશનાં એક ગામમાં 20 ફેબ્રુઆરી 2019 નાં દિવસે એક ખેડૂતની સગીર દીકરી ખોવાઈ ગઈ હતી.
આ કેસમાં તપાસ હાથ ધરીને પોલીસ તેના ભાઈ સહિત પાંચ લોકોની વિરુદ્ધ રિપોર્ટ લખીને 2 ની ધરપકડ કરી લીધી હતી. જો કે ત્યાર બાદ પણ દીકરી ક્યાંય મળતી નહોતી અને તેનો મૃતદેહ પણ મળ્યો નહોતો.
કપડાં, બંદુકો અને કારતૂસ પણ એકઠા કર્યા
આ ઘટનાને ગંભીરતાથી લેતા તત્કાલીન એસપી ડો. વિપિન તાડાનાં જણાવ્યા અનુસાર આદમપુરનાં તત્કાલીન પ્રભારી નિરીક્ષક અશોકકુમારને તપાસ સોમવામાં આવી હતી. 2019 ની ઘટના માટે પિતા અને ભાઈ બંને પર ગોળી મારીને હત્યા કરવાનો તથા બોડી ગંગામાં વહાવી દેવાનાં આરોપમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આટલું ઓછું હોય એમ પોલીસે તો કપડાં, બંદુકો અને કારતૂસ પણ એકઠા કર્યા હતા. અને ત્રણ જણને જેલભેગા કર્યા હતા. પાછળથી માલૂમ થયું હતું કે આવું કશું બન્યું જ નથી.
જીવતી મળી દીકરી
દોઢ વર્ષ બાદ 7 ઓગસ્ટ 2020 નાં રોજ તે જીવતી મળી હતી. અને તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. દીકરી જીવતી મળ્યા બાદ પોલીસની આબરૂનાં લીરે લીરા ઊડ્યાં હતા. તત્કાલીન એસપીએ કોન્સ્ટેબલ અશોક શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા. કાનૂની કાર્યવાહી બાદ ત્રણેય જણને છોડી મૂકવામાં આવ્યા હતા.
જેલમાંથી છૂટયા બાદ તેમણે 10 પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમાંથી નિરીક્ષક સહિત 11 વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.