સંશોધનની ગુણવત્તાની સાથે-સાથે હવે તેની ઉપયોગિતાને પણ પરખવામાં આવશે એટલે કે કોઇ પણ નવા સંશોધનને મંજૂરી ત્યારે જ મળશે જ્યારે તે ઉપયોગિતાના માપદંડ પર ખરું ઊતરશે. સરકારની આ કોશિશ દેશભરમાં થનારા એવા તમામ સંશોધન પર બ્રેક લગાવવા માટે છે, જે માત્ર શૈક્ષણિક દેખાડા માટે થતાં હોય. સમાજ કે ઉદ્યોગો માટે તેની કોઇ ઉપયોગિતા નથી. સરકારની આ પહેલને સંશોધનના ક્ષેત્રમાં એક મોટા પગલારૂપે જોવાય છે.
બિનજરૂરી સંશોધન પર હવે બ્રેક લાગશે
માનવસંસાધન વિકાસ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૪-૧૫માં દેશમાં ૨૧,૦૦૦ સંશોધન (પીએચડી) થયાં હતાં
કોઇ પણ નવા સંશોધન પહેલાં તેની સામાજિક ઉપયોગિતાને પરખવામાં આવશે
સંશોધનની મંજૂરી પહેલાં તેની ઉપયોગિતા અંગે જણાવવું પડશે
યુજીસી હાલમાં તેને લઇ ગાઇડલાઇન બનાવવામાં વ્યસ્ત છે, જે ખૂબ જ જલદી સામે આવશે. આ પહેલાં સરકારે દેશભરની તમામ યુનિવર્સિટીમાં અત્યાર સુધી થઇ ચૂકેલાં સંશોધનની માહિતી એકઠી કરવાનું કહ્યું હતું. યુજીસીએ આ કામ પણ શરૂ કરી દીધું છે. તેનો હેતુ એ જાણવાનો છે કે અત્યાર સુધી જે પણ સંશોધન થયાં તે કેટલાં ઉપયોગી છે. સમાજ અને ઉદ્યોગજગતને તેનાથી શું લાભ મળે છે?
યુજીસીએ આ બધી જ કવાયત એ સમયે શરૂ કરી હતી જ્યારે યુનિવર્સિટીમાં છેલ્લાં પાંચ વર્ષમાં સંશોધન સાથે જોડાયેલી ઘટનાઓ ડબલ થઇ હતી. માનવસંસાધન વિકાસ મંત્રાલયના એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૪-૧૫માં દેશમાં ૨૧,૦૦૦ સંશોધન (પીએચડી) થયાં હતાં. ૨૦૧૮-૧૯માં તેની કુલ સંખ્યા ૪૧,૦૦૦ થઇ ગઇ. મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે સંશોધનને પ્રોત્સાહન આપવા માટે તેની ગુણવત્તા અને ઉપયોગિતા પર પણ ફોકસ જરૂરી છે.
નવાં સંશોધનને લઇ યુજીસીને નવી ગાઇડલાઇન તૈયાર કરવા કહેવાયું છે, જે હેઠળ કોઇ પણ નવા સંશોધન પહેલાં તેની સામાજિક ઉપયોગિતાને પરખવામાં આવશે. ત્યારબાદ તેમાં ખરા ઊતર્યા બાદ સંશોધનને મંજૂરી અપાશે. સંશોધનને પ્રોત્સાહન આપવામાં લાગેલી સરકારે એ વાત પર ભાર આપ્યો છે કે સંશોધનનો હેતુ સમાજ અને સામાન્ય જનજીવનની સમસ્યાઓને સરળ બનાવવા સાથે જોડાયેલો હોવો જોઇએ.