ગત 1 ફેબ્રુઆરીએ નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ખેડૂત, મહિલા, યુવા, વિદ્યાર્થીઓ ઉપરાંત મધ્યમ વર્ગ માટે એલાન કરવામાં આવ્યું. તો કોર્પોરેટ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. જોકે, નિર્મલા સીતારમણના આ બજેટથી શૅર બજારનું રિએક્શન ઠીક રહ્યુ નથી. પરિણામ એ આવ્યું કે, એક જ દિવસમાં રોકાણકારોના 3.46 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા.
બજેટના દિવસે સેન્સેક્સ 39, 735.53 પોઇન્ટ પર બંધ થયો
બજેટના દિવસે Nifty તુટીને 11, 661.85 પોઇન્ટ પર હતો
આવતા નાણાકીય વર્ષમાં વિનિવેશથી 2.10 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય
કેવી રીતે ડુબ્યા 3.46 લાખ કરોડ?
નોંધનીય છે કે, બજેટથી એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ સેન્સેક્સ ઇન્ડેક્સ બીએસઇ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,56,50,981.73 કરોડ રૂપિયા હતું. ત્યારે બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ માર્કેટ કેપ ઘટીને 1,53,04,724,97 કરોડ રૂપિયા પર આવી ગયું. આ પ્રમાણે માત્ર એક કારોબારી દિવસમાં રોકાણકારોને 3.46 લાખ કરોડથી વધારેનું નુકશાન થયું છે.
10 વર્ષનો સૌથી મોટો ઘટાડો
નોંધનીય છે કે, શનિવારે બજેટના દિવસે સેન્સેક્સે 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોયો. કારોબારના અંતમાં સેન્સેક્સ 987.96 પોઇન્ટ અથવા 2.43 ટકાના નુકશાન સાથે 39,735.53 પોઇન્ટ પર બંધ થયો. આ પ્રકારે નિફ્ટી 300.25 પોઇન્ટ અથવા 2.51 ટકા તુટીને 11,661.85 પોઇન્ટ પર આવી ગયો. અહીં જણાવીએ કે શનિવારે આમ તો કારોબાર નથી હોતો, પરંતુ સામાન્ય બજેટને પગલે આ વખતે બજાર ખુલ્લુ હતું.
બજારમાં ઘટાડાનું કારણ ?
શૅર બજારમાં ઘટાડાનું સૌથી મોટુ કારણ બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ (Dividend Distribution Tax) એટલે કે લાભાંશ વિતરણ કરને હટાવવો છે. સરકાર કંપનીઓને રાહત આપવા માટે ડીડીટી હટાવી દીધો છે. ડીડીટી, એ ટેક્સ હોય છે જે કંપનીની તરફથી શૅર ધારકોને જારી કરવામાં આવેલા ડિવિડન્ડ એટલે કે લાભાંશ પર લાગે છે. હવે કંપનીઓ પર આ ટેક્સ નહીં લાગે પરંતુ બજેટમાં શૅરધારકોને ડીડીટી પર કોઇ રાહત આપવામાં આવી નથી. આથી શૅરધારકોમાં નિરાશા છે.
ડીડીટીને હટાવવાથી સરકારની આવક 25,000 કરોડ રૂપિયા સુધી ઓછી થઇ જશે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રાજકોષિય ખાધમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષિય ખાધના લક્ષ્યને વધારીને GDPના 3.8 ટકા કરી દીધો છે. પહેલા રાજકોષિય ખાધનું લક્ષ્ય 3.3 ટકા રાખવામાં આવ્યું હતું. સીધી વાત છે કે, સરકાર પોતાનું જ લક્ષ્ય હાંસલ કરી શકી નથી.
સરકાર આવતા નાણાકીય વર્ષમાં બજારથી 5.36 લાખ કરોડ રૂપિયા મેળવશે. ત્યારે ચાલુ નાણાકીય વર્ષ 2019-20થી માર્ચ સુધી 4.99 લાખ કરોડ રૂપિયા લોન લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પહેલા સરકારે લોન મેળવવા માટે 4.48 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું હતું. એવામાં સ્પષ્ટ છે કે સરકારને બજારથી પહેલાની તુલનામાં વધારે લોન લેવી પડશે.
બજેટમાં આવતા નાણાકીય વર્ષમાં વિનિવેશથી 2.10 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નાણાકીય વર્ષના સંશોધિત 65,000 કરોડ રૂપિયાના અંદાજિત લક્ષ્યથી લગભગ ત્રણ ગણું છે. અહીં જણાવીએ કે, 5 જુલાઇ 2019એ રજુ કરવામાં આવેલા ચાલુ નાણાકીય વર્ષમાં વિનિવેશથી 1.05 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને સંશોધિત કરી 65,000 કરોડ રૂપિયા કરી દેવાયું છે.
બજારને લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં રાહત મળવાની આશા હતી, જેને ઝટકો લાગ્યો છે. ત્યારે ઑટો, રિયલ એસ્ટેટ સેક્ટરને પણ બજેટમાં કોઇ સરપ્રાઇઝ નથી મળી. તેથી રોકાણકારોમાં નિરાશાનો માહોલ છે.