બોટાદ લઠ્ઠાકાંડે અનેક પરિવારો કર્યા બરબાદ, અઢી વર્ષના બાળકના પિતાનો લીધો ભોગ, પરિવાર કરી રહ્યો છે સહાયની અપેક્ષા
બોટાદ લઠ્ઠાકાંડે અનેકની જિંદગી કરી બરબાદ
રોજિદ ગામમાં વધારે લોકોના લઠ્ઠાકાંડમાં મોત
વીટીવી ન્યૂઝ પહોંચ્યુ રોજિદ ગામ
બોટાદ લઠ્ઠાકાંડમાં 43 લોકોએ જીવ ગુમાવ્યા. અનેક પરિવાર બરબાદ થઇ ગયા. કોઇએ પુત્ર ગુમાવ્યો તો કોઇએ પિતા. કોઇની પત્ની વિધવા બની તો કોઇ માએ વ્હાલ સોયાને ગુમાવ્યો. કેમિકલકાંડમાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હોય તો એ છે રોજિદ ગામ. આ ગામના દરેક વ્યક્તિઓ હાલ ગમગીન છે. ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પળવારમાં જ સ્વજનો આંખેથી દૂર ચાલ્યા ગયા. પરિવારજનોના આંખમાંથી આંસુ સુકાતા નથી. રાંધ્યા ધાન રઝળી પડ્યા છે. ત્યારે એક અઢી વર્ષનો બાળક પણ પોતાના પિતાની રાહ જોઇ રહ્યો છે.
'અઢી વર્ષના કેવલે પિતા ગુમાવ્યા'
વીટીવી ન્યૂઝ દ્વારા લઠ્ઠાકાંડ પીડિત પરિવારની વ્યથા જાણવાનો પ્રયાસ કરાયો. રોજિદ ગામના અઢી વર્ષના બાળકની કેવી કમનસીબી કે તેને માતાની તો મમતા મળી નહિ પરંતુ પિતાની છત્રછાયા પણ ગુમાવવાનો વારો આવ્યો. આ બાળકને કદાચ ખ્યાલ પણ નહી હોય કે તેના પિતાને હવે તે નહિ મળી શકે. તેની માતાએ તો તેનો સાથ છોડી જ દીધો, એક માત્ર તેના પિતા જ તેનો આધાર હતા અને હવે તે પણ લઠ્ઠાકાંડમાં ભોગ બન્યા. આ અઢી વર્ષના કેવલની તો જાણે જિંદગી છીનવાઇ ગઇ. આ ફુલ જેવા બાળકને તો ખબર પણ નથી પડતી કે તેના પિતા હવે આ દુનિયામાં નથી. બસ તેના દાદા દાદી અને કાકા જ તેનો પરિવાર છે.
અમને તો એવુ હતુ કે સાપ કરડ્યો હશે- પરિવારજન
આ અંગે જ્યારે પીડિતના પરિવારજન સાથે વાત કરતા જણાવ્યું કે મારો દિકરો છાનામાના દારૂ પીતો હતો તેની અમને જાણ હતી. અમે તેને અનેકવાર ટોક્યો પણ તે ન માન્યો. જ્યારે સાંજે આ ઘટના બની તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો. ત્યાં તે કોમમાં જતો રહ્યો . અમને તો એમ કે સાપ કરડ્યો હશે. પરંતુ આ તો રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે દારૂના કારણે મોત થયું..
નેતાઓ આવે છે પણ સહાયની કોઇ વાત કરતુ નથી- પરિવારજન
આ અંગે તેઓએ સરકાર પાસે સહાયની અપેક્ષા કરતા જણાવ્યું કે અત્યાર સુધી તમામ પાર્ટીના નેતાઓ આવીને ગયા, પોતપોતાની રીતે વાત કરીને ગયા પરંતુ સહાયની કોઇ વાત કરતુ નથી. સહાય માટે કોઇ કશું બોલતુ નથી. પોતાના પક્ષ પ્રમાણે સૌ વાત કરીને જતા રહે છે. ઉલ્લેખનીય છે કે રોજિદ ગામ સહિત બોટાદના અનેક ગામોમાં લઠ્ઠાકાંડને કારણે કરુણાંતિકા સર્જાઇ.
AMOS કંપની AMCના લાયસન્સ રિન્યુ કર્યા વગર ચાલે છે
AMOS કંપની કે જેમાંથી લઠ્ઠાકાંડનો આરોપી જયેશ કેમિકલ ચોરી કરીને બુટલેગરોને આપતો હતો. આ આરોપી જયેશ AMOS કંપનીમાં કામ કરતો હતો. આરોપી જયેશે બુટલેગરને મોકલેલા દારૂના જથ્થામાં કંપનીમાં ઉપલબ્ધ મિથેનોલનો ઉપયોગ કરાતો કે જે એક પ્રકારે ઝેર જ કહી શકાય. આ જથ્થો AMOS ફેક્ટરીમાંથી જ સપ્લાય કરાતો. ત્યારે AMOS કંપનીને લઈને VTV પર સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે, AMOS કંપની AMCના લાયસન્સ રિન્યુ કર્યા વગર ચાલે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.