દિલ્હીમાં ટ્રક ચાલકે ફૂટપાથ પર સૂતેલા 6 લોકોને કચડી નાખ્યા, આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે બે ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાજધાની દિલ્હીમાં એક દર્દનાક અકસ્માત
ટ્રકે ફૂટપાથ પર સૂતેલા 6 લોકોને કચડ્યા
ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં
દેશની રાજધાની દિલ્હીમાં એક દર્દનાક અકસ્માત થયો છે. જેમાં એક પૂર પાટ ઝડપે આવતી ટ્રકે ફૂટપાથ પર સૂતેલા 6 લોકોને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે.
ફૂટપાથ પર સૂતેલા છ લોકો પર ફળી વળી ટ્રક
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક રસ્તાના કિનારે ફૂટપાથ પર સૂતેલા 6 લોકો પર ફળી વળી હતી, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા અને બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી
આ અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જોકે, અંધારાનો ફાયદો ઉઠાવીને ટ્રક ચાલક બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામ શ્રમિકો હતા જેઓ રસ્તાના કિનારે ફૂટપાથ પર સૂતેલા હતા. આ અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યે સર્જાયો હતો.
પોલીસે મૃતકોની ઓળખ કરી
દિલ્હી પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે. જે મુજબ આ દુર્ઘટનામાં 52 વર્ષના કરીમ, 25 વર્ષના છોટે ખાન, 38 વર્ષના શાહ આલમ અને 45 વર્ષના રાહુલનું મૃત્યુ થયું છે. જ્યારે 16 વર્ષનો મનીષ અને 30 વર્ષનો પ્રદીપ ઘાયલ છે. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં સામેલ ટ્રક ચાલકની ભાળ મેળવવા માટે ઘણી બધી ટીમની રચના કરવામાં આવી છે.