સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે નિપજ્યા મોત
મૃતકો અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલ્વા ગામના રહેવાસી
લીંબડી-રાજકોટ હાઈવે આજે ફરી મરણચીસોથી ગુંજી ઊઠ્યો છે. નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. પોલીસે સ્થાનિકોની મદદથી કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આયા ગામના બોર્ડ નજીક ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા લીંબડી-રાજકોટ હાઈવે પર આયા ગામના બોર્ડ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ઈકો કાર વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા વળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી.
પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહો બહાર કાઢ્યા
અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી કારના પતરા ચીરીને મૃતકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ દ્વારા મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો અરવલ્લીના મોડાસાના વોલ્વા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં અકસ્માતની દુર્ઘટનામાં બેના મોત
ગતરોજ રાજકોટમાં અકસ્માતની દુર્ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ડમ્પરે ઠોકર મારતા પોલીસ કમિશનર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક અકસ્માતની ઘટનામાં પણ યુવાનનું મોત નીપજ્યું હતું. શહેરની માધાપર ચોકડી પાસે ડમ્પરની ઠોકરે પોલીસ કમિશનર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વાઘેલા નામના કર્મચારીનું મોત નીપજ્યું હતું.
બાઈક બોલેરો પાછળ ઘૂસી જતા યુવકનું મોત
અકસ્માતના અન્ય એક બનાવમાં વરરાજાને તૈયાર કરી પરત ફરી રહેલા વાળંદ યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વિકી બગથરીયા નામનો યુવક ગત મોડી રાત્રે વરરાજાને તૈયાર કરીને પરત આવી રહ્યો હતો. ત્યારે બસ સ્ટેન્ડ પાસે યુવકની બાઈક બોલેરો પાછળ ઘૂસી જતા તેને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.