ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યા બાદ વિધાનસભા અધ્યક્ષને બંને નેતાઓએ રાજીનામું સોંપ્યુ છે.
રાજ્યસભાની 2 બેઠકો માટે ચૂંટણી પર મતદાન પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. રાજ્યસભાની મતગણતરીમાં વિલંબ બાદ કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશ બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપના રાજ્યસભાના બન્ને ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઇ છે. જેની માહિતી આઇ.કે.જાડેજાએ ટ્વીટ કરીને આપી હતી.
મહત્વનું છે કે, 2 બેઠકો માટે 175 ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો હતો. જોકે ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવતી હતી. ઔપચારિક મતગણતરીની જ રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે ભાજપના બન્ને ઉમેદવારોની જીત થઇ છે.
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો
રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો રાજીનામુ આપી શકે છે. જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પોતાના પદને લઇને ફસાયા છે. જો તે ભાજપને મત આપે તો ધારાસભ્ય પદ જઇ શકે છે અને કોગ્રેસને મત આપે તો અત્યાર સુધીની લડત સામે પ્રશ્ન ઉભા થાય. જેથી બંન્નેની મુશ્કેલીમાં વધારો થયો છે.
1 વાગ્યા સુધી 109 ધારાસભ્યોએ કર્યું મતદાન
રાજ્યસભાની 2 બેઠક માટે મતદાન યોજાયું છે. બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના કુલ 109 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. કોંગ્રેસના 21 ધારાસભ્ય, ભાજપના 85 ધારાસભ્ય, BTP 2 અને NCPના 1 ધારાસભ્યએ મતદાન કર્યુ છે.
CM રૂપાણી સહિત 75 ધારાસભ્યોએ કર્યુ મતદાન
રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન ચાલું છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મતદાન કર્યુ છે. 12 વાગ્યા સુધી 75 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યો પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ નહી કરે.
કોંગ્રેસના ધારાસભ્યો પહોચ્યા ગાંધીનગર
ક્રોસ વોટિંગના ડરના લીધે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બાલારામ રિસોર્ટ લઈ જવાયા હતા. જ્યાંથી કોંગ્રેસના ધારાસભ્યોની ગાંધીનગર વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને પહોંચી છે. પરેશ ધાનાણીના નિવાસ સ્થાનથી એક સાથે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચશે.
ભાજપના 30 ધારાસભ્યોએ મતદાન કર્યું
રાજ્યસભાની ગુજરાતની બે બેઠક માટે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે, જ્યારે સાંજે 5 વાગ્યે મતગણતરી શરૂ થશે. મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ ભાજપના મંત્રીઓ જયેશ રાદડીયા અને આર.સી. ફળદુ સહિત 30 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટથી થોડી વારમાં ગાંધીનગર પહોચશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા
રાજ્યસભાની 2 બેઠક માટે મતદાન યોજાયું છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, આ ચૂંટણીમાં અમારા ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. જેના કારણે ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ભાજપને પોતાના તમામ ઉમેદવારો પર વિશ્વાસ છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, આ ચૂંટણીમાં BTPના છોટુ વસાવા અને NCPના કાંધલ જાડેજાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ત્યાર બાદ તેમણે બજેટ પર પ્રતિક્રિયા આપી છે કે, આ બજેટથી ભારતના વિકાસની ગતિ તેજ થશે.
ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો
ભાજપમાંથી પહેલી બેઠક માટે વિદેશ મંત્રી એસ. જયશંકર અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અનુક્રમે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડયાને ઉતાર્યા છે. વિધાનસભામાં અત્યારે ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે.
કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ચંદ્રિકાબેન ચુડાસમાએ જણાવ્યું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો મતદાન કરશે અને પરિણામ આવ્યા બાદ કોર્ટમાં અમે ન્યાયની માગણી કરીશું. તો ગૌરવ પંડ્યાએ પણ કોંગ્રેસના તમામ ધારાસભ્યો મતદાન કરશે તેવી આશા વ્યક્ત કરી છે.
બાલારામ રિસોર્ટથી 60થી વધુ કોંગ્રેસના MLA સીધા જ મતદાન માટે આવશે
ક્રોસ વોટિંગના ડરના લીધે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બાલારામ રિસોર્ટ લઈ જવાયા હતા. જે 60થી વધુ ધારાસભ્યો આજે સીધા જ મતદાન માટે આવશે. જોકે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસની આ શિબિરમાં નહોતા ગયા. બાલારામમાં ગઈકાલે મોકપોલ યોજીને કોંગ્રેસના ધારાસભ્યોને પ્રેકિટકલ તાલીમ આપવામાં આવી હતી.
જેમાં ધારાસભ્યોને મતદાનની એકડા બગડાની અટપટી પ્રક્રિયા અંગે સમજણ આપવામાં આવી હતી. તો કોંગ્રેસને પણ હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને બાદ કરતાં ક્રોસ વોટિંગની કોઈ ચિંતા નથી. કોંગ્રેસને આશા છે કે તેના 69 અને BTP અને અપક્ષના ધારાસભ્ય મળીને 72 મત મળશે.