દિલ્હી હાઇકોર્ટે તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલ હિંસક ઘર્ષણની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ ન્યાયિક તપાસ રિટાયર જસ્ટિસ એસપી ગર્ગના નેતૃત્વમાં કરવામાં આવશે. આ તપાસમાં સીબીઆઇ ડાયરેક્ટર, આઇબીના ડાયરેક્ટર, વિજિલન્ય ડાયરેક્ટર અથવા સીનિયર અધિકારી મદદ કરશે.
હાઇકોર્ટે વકીલો અને પોલીસ વચ્ચે થયેલ હિંસાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા
દિલ્હી હાઇકોર્ટે ઘાયલ વકીલોને યોગ્ય સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવા જણાવ્યું
હાઇકોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ઘાયલ વકીલોના નિવેદન નોંધવાનો પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત હાઇકોર્ટે દિલ્હી સરકારને કહ્યું છે કે તે ઘાયલ વકીલોને યોગ્ય સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે. સાથે જ ઘાયલ વકીલ વિજય વર્માને 50,000 રૂપિયા અને બે અન્ય વકીલોને ક્રમશ: 15,000 અને 10,000 રૂપિયા ચુકવે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે આ મામલાની તપાસ 6 સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવે.
આ પહેલા દિલ્હી હાઇકોર્ટે તીસ હજારી કોર્ટમાં હિંસક ઘર્ષણ મામલે પોલીસને નોટિસ જાહેર કરી જવાબ માંગ્યો. તેના પર દિલ્હી પોલીસે પોતાના જવાબમાં સ્પષ્ટતા કરતા હાઇકોર્ટને જણાવ્યું કે તીસ હજારી હિંસા મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નું ગઠન કરવામાં આવ્યું છે. સાથે જ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટીને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, દિલ્હીની તીસ હજારી કોર્ટમાં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે થયેલ ઘર્ષણમાં 20થી વધારે પોલીસ કર્મીઓ અને એક એડિશનલ ડીસીપી, બે એસએચઓ ઉપરાંત 8 વકીલ ઘાયલ થયા હતા. આ હિંસામાં પોલીસે ફાયરિંગ કરી હતી અને એક વકીલને ગોળી વાગી હતી.