કેન્દ્ર સરકારે કાયમી એકાઉન્ટ નંબર એટલેકે પાન કાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદા છ મહિના વધારી દીધી છે. પહેલાં આ સમય મર્યાદા 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થતી હતી. પરંતુ હવે તેને વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે. નાણાં મંત્રાલયે આ અંગેની માહિતી આપી છે.
પાન કાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદા છ મહિના વધારાઈ
હવે 31 માર્ચ, 2022 સુધી પાન કાર્ડને આધાર સાથે જોડી શકશો
આ સમય મર્યાદામાં પાન કાર્ડ નહીં જોડો તો કાર્ડ થશે નિષ્ક્રિય
પાન કાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદામાં વધારાઈ
આવક વેરા કાયદા હેઠળ દંડની કાર્યવાહી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ 30 સપ્ટેમ્બર, 2021થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. સીબીડીટીએ આ સુચના 17 સપ્ટેમ્બરે જાહેર કરી છે. મહત્વનું છે કે, સરકારે 23 માર્ચ 2021ના રોજ લોકસભામાંથી પસાર કરેલા ફાયનાન્સ બિલ 2021માં આવક વેરા અધિનિયમ 1961માં નવો વિભાગ 234 એચ (23H) ઉમેરવામાં આવ્યો છે. જે હેઠળ દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ, જો કોઈ નક્કી કરેલી સમય મર્યાદામાં પાન કાર્ડને આધાર સાથે જોડશે નહીં તો તેનું પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે. આ ઉપરાંત તેની પર દંડ લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, બેંકો, ઈપીએફઓના વ્યવહાર સહિત મોટાભાગના કાર્યોમાં પાન કાર્ડ અત્યંત જરૂરી છે.
આવક વેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ
આવક વેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 થઇ છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે જાહેરાત કરી હતી કે ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા ચાલુ વર્ષના અંત સુધીમાં વધારવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મે મહિના માં આ તારીખને 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી હતી. નાણાં મંત્રાલયે કહ્યું હતું કે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે વર્ષ 2021-22 માટે રિટર્ન અને ઓડિટની રિપોર્ટ ફાઈલ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. જે આવક વેરો ચૂકવનારા લોકોએ અત્યાર સુધી ટેક્સ રિટર્ન ફાઈલ કર્યો નથી તો હજુ પણ સમય છે. જો છેલ્લી તારીખ સુધી રિટર્ન ના ભરાયુ તો દંડ ચૂકવવો પડી શકે છે.