વિન્ડીઝના ત્રણ સ્ટાર ક્રિકેટર-ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર અને કિમો પોલે ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનો ઇનકાર કરી દીધો છે. વિન્ડીઝ બોર્ડ તરફથી રજૂ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણેય ખેલાડીના નિર્ણયનું બોર્ડ સન્માન કરે છે. ભવિષ્યમાં પસંદગી પર વિચારણા કરતી વખતે આ વાત તેમની વિરુદ્ધ નહીં જાય. હેટમાયર અને બ્રાવો દિગ્ગજ બેટ્સમેન છે, જ્યારે કિમો પોલ ફાસ્ટ બોલર છે, જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ ત્રણેય ખેલાડીએ કોરોનાના ડરના લીધે ઈંગ્લેન્ડ જવાનો ઇનકાર કર્યો છે કે કેમ.
કોરોનાનો કહેર ક્રિકેટ પર
3 ખેલાડીઓએ કર્યો ઇન્કાર
વિન્ડીઝ બોર્ડે ગઈ કાલે ૮ જુલાઈથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની આગામી ત્રણ ટેસ્ટ મેચ માટે ૧૪ સભ્યની ટીમની જાહેરાત કરી છે. જેસન હોલ્ડર ટીમનું નેતૃત્વ સંભાળશે. ક્રૂમ બૂનર અને કેમર હોલ્ડરને પહેલી વાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. બૂનર મધ્યક્રમનો બેટ્સમેન છે, જ્યારે કેમર હોલ્ડર બોલર તરીકે ટીમમાં પસંદ થયો છે. અગાઉ વિન્ડીઝ બોર્ડે સ્પષ્ટ કરી દીધું હતું કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ જશે અને જે ખેલાડીઓએ પ્રવાસમાંથી નામ પાછુ ખેંચવું હોય તેઓ બોર્ડને આ અંગેની જાણકારી આપી શકે છે. આથી ટીમના સ્ટાર ખેલાડીઓ હેટમાયર, ડેરેન બ્રાવો અને કિમો પોલે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે.
સૌથી ખાસ વાત એ છે કે, વિન્ડીઝ બોર્ડે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 11 રિઝર્વ ખેલાડીઓનાં નામની પણ જાહેરાત કરી છે. વિન્ડીઝની ટીમ આગામી સોમવારે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ટેસ્ટ શ્રેણીની શરૂઆત તા. ૮ જુલાઈથી થશે. ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ વિન્ડીઝના ખેલાડીઓ ૧૪ દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેશે. ક્વોરન્ટાઇનમાં રહ્યા બાદ વિન્ડીઝના ખેલાડી બાઉલ રવાના થશે, જ્યાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
વિન્ડીઝના મુખ્ય પસંદગીકાર રોજર હાર્પરે કહ્યું, ''ક્રિકેટના નવા માહોલમાં ઢળવા માટે હજુ થોડો સમય લાગશે, જોકે બંને દેશના ક્રિકેટ બોર્ડે આના માટે ઘણી તૈયારીઓ કરી છે. આશા છે કે ખેલાડીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.''