ઔદ્યોગિક એકમોનું ગંદુ પાણી સાબરમતી નદીમાં બેરોકટોક ઠાલવવામાં આવી રહ્યું છે. જેને કારણે અનેક ખેડૂતો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ત્યારે VTVની ટીમે સાબરમતી નદીના પાણી અંગે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં નદીનું પાણી દૂષિત જોવા મળી રહ્યું છે.
VTVની ટીમે સાબરમતી નદીના પાણી અંગે રિયાલિટી ચેક કર્યું
ખેડૂતોએનદીને કારણે થતી મુશ્કેલી અંગે પોતાની વ્યથા ઠાલવી
સેમ્પલ લઇને અધિકારીઓ માત્ર દેખાડો જ કરે છેઃ ખેડૂતો
અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને ગુજરાતની સૌથી લાંબી નદી તરીકે ઓળખવામાં આવે છે. આ નદી ધરોઈથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. આ નદીને કારણે અનેક ખેડૂતો સદ્ધર થયા છે. સાબરતમી નદીના પાણીથી અનેક ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહ્યું છે, ત્યારે આ જ સાબરમતી નદી અનેક ખેડૂતો માટે અભિષાપ બની છે. અત્યારના સમયે સાબરમતી નદીમાં બેરોકટોક ઔદ્યોગિક એકમોનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેને કારણે અનેક ખેડૂતો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે, ત્યારે VTVની ટીમે સાબરમતી નદીના પાણી અંગે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં નદીનું પાણી દૂષિત જોવા મળી રહ્યું છે.
વાસણા બેરેક પાસેની નદીમાં પાણીમાંથી આવી રહી છે દુર્ગંધ
ધરોઈથી નીકળતી સાબરમતી નદી અમદાવાદ સુધી સ્વચ્છ પાણી જોવા મળે છે. અમદાવાદના વાસણાથી ખંભાતના અખાત તરફ જવા સમયે સાબરમતી નદી કેમિકલ યુક્ત બને છે. વાસણા બેરેક પાસેની નદીમાં તો પાણીમાંથી કેમિકલની દુર્ગંધ આવી રહી છે. સાથે પાણીનો કલર પણ લાલ થયેલો જોવા મળે છે.
VTV સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી
પાણીના કલર બદલાવવાને લઇ અમારી ટીમે વાસણા બેરેક આગળ ગ્યાસપુર ગામની મુલાકાત લીધી હતી. આ ગામના ખેડૂતે સાબરમતી નદીને કારણે થતી મુશ્કેલી અંગે પોતાની વ્યથા ઠાલવી હતી. જેમાં ખેડૂતે કહ્યું કે, સાબરમતીના પ્રદુષિત પાણીને કારણે ગામમાં કોઈ ખેતી કરી શકતું નથી. જેથી મોટાભાગના ખેડૂતો પેટનું રળ્યું કરવા અમદાવાદ સ્થળાંતર કરી રહ્યા છે. પ્રદુષિત નદીનું આ પાણી ખેતરમાં નાખવા પર પાક પણ બળીને ખાખ થાય છે.
કોર્પોરેશનના અધિકારીઓની લાલયાવાડીને કારણે નષ્ટ થઇ છે ખેતીઃ ખેડૂત
અન્ય એક ખેડૂતે કોર્પેરેશન પર આક્ષેપ કરતા કહ્યું કે, કોર્પોરેશનના અધિકારીઓની લાલયાવાડીને કારણે અમારી ખેતી નષ્ટ થઇ છે. ખેતરમાં દુષિત પાણી નાખવા પર પાકની સાથે ધાસ પણ બળી જાય છે. અમારી સમસ્યાને લઇ કોર્પોરેશનના અધિકારીઓ અનેક વખત પાણીના સેમ્પલ લેવા આવે છે, પરંતુ સેમ્પલ લઇને અધિકારીઓ માત્ર દેખાડો જ કરે છે. ક્યારેય ઔદ્યોગિક એકમો વિરુદ્ધ કાર્યવાહી થતી નથી. જેને કારણે ખેડૂતો સ્થળાંતર કરવું પડે છે.
ખેડૂતોના માથે દેવું વધી રહ્યું છેઃ ખેડૂત
દિન પ્રતિદિન સાબરમતીમાં વધતા પ્રદુષણને કારણે સ્થાનિક ખેડૂતો માટે ખેતી માથાનો દુખાવો બની ગયો છે. અમદાવાદથી આગળ વધતી સાબરમતી નદી અનેક ગામમાંથી થઇને ખંભાતના અખાતમાં મળે છે. આ તમામ ગામોના ખેડૂતો શાકભાજીની સમૃદ્ધ ખેતી કરતા હતા, પરતું છેલ્લા 10 વર્ષમાં વધતા પ્રદુષણને કારણે શાકભાજીની સાથે અન્ય પાકને પણ નુકસાન થઇ રહ્યું છે. સાથે જમીનની ફળદ્રુપના પણ હવે બચી નથી. જેને કારણે ખેડૂતો પોતાની જમીન પણ વેચી શકતા નથી અને જે ખેડૂતો જમીન વેચે છે, તે ખેડૂતોને જમીનના યોગ્ય ભાવ મળતા નથી. જેથી ખેડૂતોના માથે દેવું વધી રહ્યું છે.
બોરનું પાણી પણ આવી રહ્યું છે પ્રદુષણ યુક્ત
સાબરમતીનું પ્રદૂષિત પાણીના કારણે સાબરમતી નદીના આસપાસ ભૂગર્ભજળ પર પણ અસર વર્તાઈ રહી છે. સાબરમતીના પ્રદુષણને લઇ જમીનમાં પાણીનું રિચાર્જનું શક્ય બનતું નથી. સાથે જ ભૂગર્ભમાં પણ પ્રદુષિત પાણી આવી રહ્યું છે. સાબરમતી નદીના 10 કિલોમીટર વિસ્તારમાં બોરનું પાણી પણ પ્રદુષણ યુક્ત આવી રહ્યું છે. જેના કારણે પીવાના પાણીના તળ પણ બગળી રહ્યું છે. આ અંગે નવાપુરા ગામના સ્થાનિકે કહ્યું કે, સાબરમતી પ્રદુષિત થવાથી પીવાના પાણીમાં 900 જેટલા TDS જોવા મળે છે, જેના કારણે અમારે TDS યુક્ત પાણી પીવાની નોબત આવી રહી છે.
'દુષિત પાણીના કારણે પશુઓ અને મનુષ્યો પણ પ્રભાવિત'
સાબરમતીના દુષિત પાણીના કારણે પશુઓ અને મનુષ્યો પણ પ્રભાવિત થયા છે. પ્રદુષિત પાણીને લઇ પશુના દૂધની ક્ષમતાઘટી રહી છે. જેના કારણે પાલડી ગામમાં અંદાજે 5 ડેરી બંધ કરવામાં આવી છે. સાથે જ આ પાણીને કારણે સાબરમતી નદીના આસપાસના ગામમાં કેન્સરનો ખતરો પણ વધ્યો છે. આ પ્રદુષિત પાણીને કારણે માત્ર પાલડી કાકાજ ગામમાં જ 20 લોકોને કેન્સર થયું છે. જેથી સ્થાનિકો સાબરમતીને શુદ્ધ કરવાની માગ કરી રહ્યા છે.