દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં તેજીથી વધારો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ ઓમીક્રોન વેરિએન્ટના કેસ બમણી ગતિથી વધી રહ્યા છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો દેશમાં 2 લાખ 85 હજાર 914 નવા કેસ નોંધાયા છે જ્યારે 665 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે પોઝિટીવી રેટ 16.16 ટકા નોંધાયો છે. જો કે મહત્વની વાત તો એ છે કે ગત રોજની તુલનામાં આજે 11.7 ટકા કોરોનાના નવા કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસમાં વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 22 લાખ 23 હજાર 18 થઈ ગઈ છે. જ્યારે કોરોના મહામારીમાં મોતનો આંકડો વધીને 4 લાખ 91 હજાર 127 થઇ ગઇ છે. ગઇકાલે દેશમાં 2 લાખ 99 હજાર 73 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 73 લાખ 70 હજાર 971 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઇ ગયા છે.
163 કરોડથી વધુ રસીના ડોઝ
કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ તેજ ગતિથી ચાલી રહી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 163 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 59 લાખ 50 હજાર 731 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં રસીના 163 કરોડ 58 લાખ 44 હજાર 536 ડોઝ આપવામાં આવ્યા છે.
મંગળવારે 2,55,874 કેસ નોંધાયા હતા
દેશમાં મંગળવારે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો 2 લાખ 55 હજાર 874 કોરોનાના નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન 2.67 લાખ લોકો સાજા થયા, જ્યારે 614 લોકો મૃત્યુ પામ્યા છે. સોમવારની સરખામણીએ નવા કેસમાં લગભગ 53 હજારનો ઘટાડો નોંધાયો હતો.