ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો સ્વીકારીને વિનય પ્રકાશને નવા ગ્રીવન્સ અધિકારી તરીકે નિયુક્ત કર્યાં છે.
ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો સ્વીકાર્યા
ભારતમાં રેસિડેન્ટ ગ્રીવન્સ અધિકારીની નિમણૂક કરી
વિનય પ્રકાશ ભારતમાંના ટ્વિટરના નવા ગ્રીવન્સ અધિકારી
ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો સ્વીકાર્યા છે. કંપનીએ ભારતમાં તેના રેસિડેન્ટ ગ્રીવાંસ અધિકારીની નિમણૂક કરી છે. ટ્વિટરે તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે કે તેમણે વિનય પ્રકાશને ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. સરકારે 25 ફેબ્રુઆરીએ નવા કાયદા જાહેર કર્યા હતા. આ નિયમો 3 મહિનાની અંદર એટલે કે 25 મે પહેલાં લાગુ કરવામાં આવનારા હતા, જો કે ટ્વિટર દ્વારા અંતિમ મુદત પૂરી થયાના 46 દિવસ પછી આ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
નવા આઈટી મંત્રીએ ટ્વિટરને આપી હતી ચેતવણી
હોદ્દો સંભાળતા જ દેશના નવા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટરને દેશના નવા આઈટી નિયમોનું પાલન કરવાની તાકીદ કરી દીધી છે અને ટ્વિટરે નિયમો માનવા જ પડશે. નવા આઈટી મંત્રી અશ્વીની વૈષ્ણવે હોદ્દો સંભાળતા જ ટ્વિટરને આકરો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે દેશનો કાયદો બધાની ઉપર છે.
અશ્વિની વૈષ્ણવ રવિશંકર પ્રસાદને બદલે આઈટી મંત્રી બન્યા છે. પ્રસાદ છેલ્લા થોડા સમયથી ટ્વિટર સાથે શાબ્દિક વિવાદમાં ઉતર્યાં હતા. હકીકતમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા માટે નવા આઈટી નિયમો લાગુ પાડ્યાં છે. નવા નિયમોમાં એવી જોગવાઈ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે જવાબદાર હશે. તેનાથી ટ્વિટર હવે કન્ટેન્ટ માટે જવાબદાર રહેશે. જોકે ટ્વિટર પર આરોપ છે કે તેણે નવા નિયમો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
ભારતમાં થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે ગુમાવ્યું કાનૂની રક્ષણ
નવા કાયદાનું પાલન ન કરવાને કારણે ટ્વિટરે ભારતમાં થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે લીગલ શીલ્ડ ગુમાવી દીધું છે. એટલે કે, તેને કન્ટેન્ટ બાબતે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો હવે આઈપીસી કલમો હેઠળ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ પરિસ્થિતિ માટે ટ્વિટર પોતે જ જવાબદાર છે.
રવિશંકર વિવાદ બાદ ટ્વિટર પર 5 કેસ
25 જૂને, ટ્વિટરે તત્કાલીન IT પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કર્યું હતું. ત્યારબાદ ટ્વિટરે અમેરિકન કોપીરાઇટ એક્ટનો હવાલો આપ્યો હતો. તેનો સરકાર દ્વારા વિરોધ કરાયો હતો. આ પછી, ટ્વિટર પર 5 કેસ નોંધાયા હતા, કારણ કે નવા IT કાયદાઓનું પાલન ન કરતાં તેણે તેનું લીગલ શીલ્ડ ગુમાવી દીધુ છે.
ટ્વિટર સામે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ
-ગાઝિયાબાદ પોલીસે એક મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ અને અભદ્ર વર્તનના કેસમાં ટ્વિટર વિરુદ્ધ FIR નોંધી હતી.
- બુલંદશહેરમાં દેશનો ખોટો ધ્વજ બતાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
- દેશનો ખોટો ધ્વજ બતાવવા બદલ મધ્યપ્રદેશના સાયબર સેલમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
- ચાઇલ્ડ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બાબતે દિલ્હી પોલીસના સાયબર સેલે કેસ નોંધ્યો છે.
- હિન્દુ દેવીને લઈને ટ્વિટર પ્લેટફોર્મ પર પોસ્ટ કન્ટેન્ટ અંગે દિલ્હીમાં કેસ નોંધાયો છે.