પાટણનાં કાનોસણ ગામે સસ્તા અનાજની દુકાનનં સંચાલક સાથે જાતિવાદ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા ગ્રામજનોનાં ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.
પાટણના કાનોસણ ગામમાં જાતિવાદ થતો હોવાનો આક્ષેપ
આત્મહત્યાનો પ્રયાસ કર્યા પહેલાં કાંતિભાઈએ લખી હતી ચીઠ્ઠી
ચીઠ્ઠીમાં ત્રાસ આપનારા 7 લોકોના લખ્યા હતા નામ
પાટણનાં કાનોસણા ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાન સંચાલક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા કાંતિ પરમારે ચિઠ્ઠી લખી હતી. જેમાં તેઓએ ત્રાસ આપનાર 7 લોકોનાં નામ લખ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને કાંતિ પરમારે ગ્રામજનો પર આક્ષેપ કર્યા છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ પોતે જાતિવાદનો ભોગ બન્યા છે. જેમાં ગામના ઠાકોર સમાજનાં લોકોએ કાંતિભાઈની દુકાનમાંથી અનાજ લેવાનો બહિષ્કાર કર્યાનો આક્ષેપ કરવામા આવી રહ્યો છે. તેમજ ગ્રામજનો દ્વારા કાંતિભાઈને મારવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનાં ત્રાસથી કંટાળી કાંતિભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાંતિભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા ચીઠ્ઠીમાં ત્રાસ આપનાર 7 લોકોનાં નામ લખ્યા હતા. જેમાં તેઓને છેલ્લા અઢી વર્ષથી હેરાન કરવામાં આવતા હતા. તેમજ તેઓએ આ બાબતે પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. સમગ્ર ઘટનાને લઈને કાંતિભાઈનાં પરિવારજનો દ્વારા પણ ગ્રામજનો પર આક્ષેપ કરવામાં આવ્યા છે. કાંતિભાઈને દવા પીવડાવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
કોઈ પણ અધિકારી અમારા પક્ષમાં જવાબ લેવા માંગતા નથીઃ મુકેશભાઈ કાંતિભાઈ
આ બાબતે કાંતિભાઈનાં પુત્ર મુકેશભાઈએ જણાવ્યું હતું કે, કાંતિભાઈ વીરાભાઈને છેલ્લા અઢી વર્ષથી અમારા ગામના સાત જણા સસ્તા અનાજની દુકાન માટે હેરાન પરેશાન કરે છે. જેમાં ઠાકોર જગતાજી ચતુરજી, પ્રકાશજી અભેસંગજી, ગેનાજી શંભુજી, શૈલેષજી બબાજી, લક્ષ્મણજી માધુજી તેમજ ગણવાડાનાં તલાજી જેઓ રિટાયર્ડ પોલીસકર્મી છે. આ બધા ભેગા મળી છેલ્લા અઢી વર્ષથી અમને હેરાન કરી રહ્યા છે. અને કહે છે કે અમે કોઈપણ ભોગે સસ્તા અનાજની દુકાન અમે છીનવી લઈશું. ત્યારે આ બાબતે અમે પોલીસમાં, કલેક્ટરમાં પણ રજૂઆત કરેલી છે. તેમજ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ આ બાબતે રજૂઆત કરેલી છે. મામલતદારને પણ આ બાબતે રજૂઆત કરેલી છે. ત્યારે કોઈ પણ અધિકારી અમારા પક્ષમાં જવાબ લેવા માંગતા નથી. તેમજ આ લોકો મોટી રાજકારણની વગ ધરાવતો હોઈ અને અમે દલિત હોવાથી છેલ્લા અઢી વર્ષથી અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમને ન્યાય ન મળતા મારા પપ્પાએ પોઈઝન પીધું પણ હવે કોણે પાયુ કે કેવી રીતે પીધું તે બાબતની અમને હજુ સુધી કોઈ જાણ થઈ નથી.