સિદ્ધિ હાંસિલ કરવા મોટા મા-બાપના સંતાન હોવું જરૂરી નથી. લક્ષ્ય નક્કી હોય તો લારી ચલાવનાર પિતાના સંતાન પણ સિદ્ધિ હાંસિલ કરી શકે છે. તેવું સુરતના મોનુએ સાબિત કરી બતાવ્યું છે.
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય એટલે કે અથાગ પરિશ્રમ કે મહેનતનું ફળ હંમેશા ઉચ્ચ પરિણામમાં જ પરિણમે છે. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કડી મહેનત અને લક્ષ્ય હોવું જરૂરી છે. આ વાતને સુરતની આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થી મોનુ સોનકરે સાર્થક કરી છે. મોનુએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 115 માર્ક સાથે યશસ્વી પરિણામ હાંસલ કર્યું છે. વધુમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 99.75 પર્સન્ટાઈલ મેળવ્યા છે. નોંધનીય છે કે મોનુના પિતા મહેન્દ્ર સોનકર લંબેહનુમાન રોડ પર ફ્રૂટની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં મોનું પણ પોતાના પિતાની સાથે કામ કરી મદદ કરી રહ્યો છે.
મોનુ ડોક્ટર બને તેવી પરિવારજનોની ઈચ્છા
એક તરફ પરિવારની જવાબદારીમાં પુત્ર તરીકે પોતાની ફરજ અને બીજી તરફ પરિવારનું અને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા અભ્યાસમાં અથાગ મહેનતને લીધે ગુજટેકમાં 115 માર્કસ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતાને પગલે મોનુના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી સમયમાં મોનું ડોક્ટર બની સુરતના દર્દીઓની સેવા કરે તેવી મોનુના પરિવારજનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ પરિવારના આ સપનાને હકીકતની ઉડાન આપવા મોનુએ હવે નીટની તૈયારી આરંભી દીધી છે. પોતાની સફળતા પાછળ પરિવાર અને તેની શાળાનો મોટો હાથ હોવાનું મોનુએ જણાવ્યુ હતું. આજે મોનુંએ એટલો સંદેશ ચોક્કસથી આપ્યો છે કે, સંઘર્ષ કરો અને હાર માન્યા વગર પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો સફળતા આપોઆપ તમારા કદમ ચૂમશે મોનુની આ સફળતાને અને તેના પરિવારના સંઘર્ષને વીટીવી ન્યૂઝ સલામ કરે છે.
રાજ્યની 64 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા આવ્યું છે. જેમાં રાજ્યની 64 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. રાજ્યમાં 61 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું આવ્યું છે. પરિણામમાં 196 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. 3303 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો. અંગ્રેજી માધ્યમની શાળાનું પરિણામ 72.57 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમની શાળાનું પરિણામ 72.04 ટકા આવ્યું છે. A ગ્રુપના વિદ્યાર્થીનું પરિણામ 78.40 ટકા, B ગ્રુપના વિદ્યાર્થીનું પરિણામ 68.58 ટકા, AB ગ્રુપના વિદ્યાર્થીનું પરિણામ 78.38 ટકા જાહેર થયું છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા જાહેર, જ્યારે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 ટકા જાહેર કરાયું છે. રાજ્યમાં લાઠી કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 96.12 ટકા આવ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 33.33 ટકા જાહેર કરાયું છે.