રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઠીક આવા સમયે જ સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ વિવિધ રાજકીય પક્ષોને જશ ખાંટવાનો મોકો આપી દીધો છે. આજે સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે (EWS) માટે 10% અનામતની કાયદેસરતા પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ વિશે વિવિધ પક્ષના નેતાઓનું શું કહેવું છે જોઈએ આ અહેવાલમાં...
EWS અનામત પર SCનો ઐતિહાસિક ચુકાદો
3 ન્યાયાધીશોનું EWS અનામતને સમર્થન
રાજકીય પક્ષોના નેતાઓએ આ નિર્ણયને આવકાર્યો
સર્વોચ્ચ અદાલતે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે (EWS) માટે 10% અનામતની કાયદેસરતા પર મંજૂરીની મહોર મારી દીધી છે. જો કે, આ નિર્ણય વેળાએ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ 3 વિરુદ્ધ બેથી વહેંચાઈ ગઈ હતી. જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવી છે, જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે EWS માટે અનામત અયોગ્ય ગણાવી હતી. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના મોટા નેતાઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.
પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે નિર્ણયને આવકાર્યો
પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે EWS અનામતના ચુકાદાને આવકાર્યો છે. આ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સુપ્રીમના આ નિર્ણયને હું આવકારું છું. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બિનઅનામત જ્ઞાતિઓને લાભ મળશે. અત્યાર સુધીની જે જોગવાઇ હતી તેમાં આ શક્ય નહતું. જેથી પ્રધાનમંત્રી મોદીએ કાયદો બનાવીને પસાર કર્યો હતો.
આમ આદમી પાર્ટીએ SCના નિર્ણયને આવકાર્યો
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે, આર્થિક રીતે પછાત વર્ગને અધિકાર મળ્યો છે. EWSના લાભાર્થીઓને અભિનંદન. 10 ટકા અનામતથી લોકોને લાભ થશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને શક્તિસિંહ ગોહિલે પણ આવકાર્યો
શક્તિસિંહ ગોહિલે પણ EWSને લઇ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, EWSમાં સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી છે, તેનું સ્વાગત કરું છું. આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવી સરકારની ફરજ છે.
SCના ચુકાદાનું સ્વાગત કરી જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા પ્રહાર
સુપ્રીમકોર્ટની 5 જનની બેચે EWS અનામત પર ચૂકાદો આપ્યો છે. જેમાં 3 જજે EWSના સમર્થનમાં ચૂકાદો આપ્યો છે, જ્યારે 2 જજે EWSને સમર્થન કર્યું નથી, ત્યારે ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. સાથે જ જગદીશ ઠાકોરે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારી સિસ્ટમમાં ભરતી થાય તો સાચા અર્થમાં અનામતનો લાભ કહેવાય. અત્યારે સરકાર એરપોર્ટ વેંચી રહી છે. રેલવે વેંચી માર્યુ અને બેંકો ખાનગી કરી નાખી છે. કોંગ્રેસના બનાવેલા તમામ સાહસો અને નવરત્ન કંપનીઓ સરકારે વેંચી નાખી છે. ઉપરાંત સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાંખી છે. અત્યારે સરકારી ભરતીઓ નથી એટલે અનામતનો કોઈ અર્થ પણ રહેતો નથી.
સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવકારદાયકઃ રેશમા પટેલ
જ્યારે NCP નેતા રેશમા પટેલે કહ્યું કે, સુપ્રીમકોર્ટનો ચૂકાદો આવકારદાયક છે. આજે સોનામાં સુગંધ ભળી છે. સુપ્રીમકોર્ટના આ ચૂકાદાથી આર્થિક રીતે નબળા વર્ગને લાભ થશે.
આર્થિક નબળા વર્ગોને અનામતનો મુદ્દો ઘણો જૂનો છે
આપને જણાવી દઈએ કે, આર્થિક નબળા વર્ગોને અનામતનો મુદ્દો ઘણો જૂનો છે. પરંતુ વાત 50 ટકાની મર્યાદામાં અટવાઈ રહી હતી. EWS માટે અનામતની માંગના ભૂતકાળ પર વાત કરીએ તો GFX IN 2005માં UPA સરકાર વખતે EWS અનામત માંગ ઉઠી હતી. 2005માં એ.આર. સિન્હા પંચની રચના કરાઈ હતી. એ.આર. સિંહા પંચે 2010માં રિપોર્ટ રજૂ કર્યો હતો. જાન્યુઆરી-2019માં સરકારે બંધારણમાં 103માં સુધારા માટે બિલ પસાર કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મંજૂરીની મહોર લગાવી દીધી હતી. પરંતુ DMKએ 2019માં સુપ્રીમ કોર્ટમાં EWSને પડકારી હતી. આ ઉપરાંત EWS સામે 40 જાહેર અરજીઓ પણ દાખલ થઈ હતી..
જો કે, હવે આજે સુપ્રીમ કોર્ટે ત્રણ વિરુદ્ધ બેથી (EWS) માટે 10% અનામતની કાયદેસરતા પર મંજૂરીની મહોર મારી દીધી છે. તેમનું કહેવું છે કે, EWS અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી. 50% મર્યાદા પર આધારિત આરક્ષણ એ EWS આરક્ષણ મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી, કારણ કે 50% આરક્ષણ મર્યાદા અપરિવર્તનશીલ નથી. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આપણા રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે જ આવ્યો છે. ત્યારે દરેક પક્ષો સુપ્રીમ કોર્ટના નિર્ણયને તન-મનથી વધાવી રહ્યા છે.