ઘાતક કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારત સરકારે સમગ્ર તાકાત લગાવી દીધી છે. ગઈ કાલે મોડી રાતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન ખુદ દિલ્હીના એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં સ્ક્રીનિંગ સહિતની તમામ વ્યવસ્થાઓનું સઘન ચેકિંગ કર્યું હતું. દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૩૧ થઈ ગઈ છે. જોકે તેમાંથી ત્રણ દર્દીની સફળ સારવાર થઈ ચૂકી છે.
ભારતમાં હાલ કોરોનાના કુલ ૩૧ દર્દીઓ
ભારત આવેલા ૬,૪૯,૪૫૨ મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું
હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા
સરકારના સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતમાં હાલ કોરોનાગ્રસ્ત ૩૧ લોકો છે, જેમાંથી ૧૫ દર્દીની સારવાર ગુરુગ્રામમાં ચાલી રહી છે. દિલ્હીની હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે તેલંગાણામાં એક દર્દી છે. રાજસ્થાનના જયપુરની હોસ્પિટલમાં બે લોકોની સારવાર ચાલી રહી છે. આ ૩૧ લોકોમાંથી ૧૬ ઈટાલીના રહેવાસી છે, જેઓ ભારતમાં ફરવા માટે આવ્યા હતા. અત્યાર સુધીમાં ૬,૫૫૦ ફ્લાઈટ્સ દ્વારા ભારત આવેલા ૬,૪૯,૪૫૨ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
21 એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યું સઘન ચેકિંગ
જીવલેણ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની તપાસ માટે સરકારે પહેલેથી જ ૧૫ લેબોરેટરી બનાવી છે અને હવે વધુ ૧૯ લેબોરેટરી બનાવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. વિદેશથી આવતા દરેક મુસાફરોની દેશના ૨૧ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેશના મોટાભાગનાં રાજ્યોની ઘણી હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે સતત બીજા દિવસે પણ દેશને ખાતરી આપી છે કે, અમે કોરોના વાયરસને હરાવવા માટે તૈયાર છીએ. આ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, એરપોર્ટ પરની આરોગ્ય સેવાઓ અને મુસાફરોની તપાસની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન ગત મોડી રાતે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (આઈજીઆઈ) એરપોર્ટ પર પહોંચ્યા હતા.
આ જગ્યાઓના પ્રવાસ પર મૂકાયો પ્રતિબંધ
દરમિયાન, સરકારે સિક્કિમમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ચેપને ફેલાતો રોકવા માટે વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધને કારણે દેશ-વિદેશના મુસાફરો, ટૂર ઓપરેટરો અને હોટલોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટૂંક સમયમાં જ દાર્જિલિંગના તમામ બુકિંગ પણ રદ થઈ શકે છે. ચીનની સરહદ સાથે જોડાયેલા નાથુ લાની મુલાકાત ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બીજી તરફ, સિક્કિમ સરકારનું કહેવું છે કે, આ પ્રતિબંધથી રાજ્યના પર્યટન ઉદ્યોગને અસર થશે જ, પરંતુ સુરક્ષા જ અમારી પહેલી પ્રાથમિકતા છે. ગૃહ વિભાગે ગઈકાલે ઈનર લાઇન પરમિટ્સ (આઈએલપી) પર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધ ભૂતાનના નાગરિકોને પણ લાગુ પડશે. જાહેનામું બહાર પડ્યાના થોડા કલાકો પછી જ ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓના જૂથો કે જેઓ ૨૮ માર્ચે આ વિસ્તારની મુલાકાતે આવવાના હતા, તેમણે પોતાના બુકિંગ રદ કરવાની વિનંતી મોકલી આપી છે. ટ્રાવેલ કંપનીના માલિકોને ડર છે કે, હવે આવી રીતે ઘણા બુકિંગ રદ થઈ જશે અને અમને મોટું નુકસાન થશે.
પ્રવાસ ઉદ્યોગને થશે મોટી અસર
દાર્જિલિંગના પ્રવાસે આવતા આઠ ટકા લોકો વિદેશી હોય છે. ખાસ કરીને અમેરિકન, યુરોપિયન નાગરિકો તેમ જ ચીની અને જાપાનીઓ સિક્કિમ અને ઉત્તર બંગાળની મુલાકાતે આવે છે. ભારતમાં હાલ ચીની અને જાપાની નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. નિષ્ણાતોના દાવા અનુસાર, સિક્કિમ સરકારના નિર્ણયથી દાર્જિલિંગની હોટલોને તો અસર થશે જ, પરંતુ તેનાથી કોલકાતા અને દેશના બાકીના રાજ્યોના પ્રવાસન ઉદ્યોગને પણ અસર થઈ શકે છે.