26 ઓકટોબર થી 06 નવેમ્બર સુધી ગુજરાતમાં અનેક જગ્યાએ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પણ આ વખતે મોટા આયોજનો પર 18 ટેક્સ લાગતાં ટિકિટો મોંઘી થઈ છે
નવરાત્રીમાં ગરબા પર ટેક્સનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો
માલ-સેવા વેરા સુધારા વિધેયકની ચર્ચા સમયે ગરબા ટેક્સ મુદ્દે વિરોધ
નવરાત્રી નજીક છે. અને ગરબાના તાલે ઝુમવા ખેલૈયાઓ તૈયાર છે. પણ આ વર્ષે દરેક સ્ટેપ ખેલૈયાઓને મોંઘો પડવાનો છે. કેમ કે GSTએ ગરબાને પણ બાકાત નથી રાખ્યા. ગરબાના રંગને GST ફિક્કો પાડી રહ્યો છે. શેરી ગરબાના આયોજન સિવાય અન્ય કોઈ જગ્યાએ એટલે કે પાર્ટી પ્લોટમાં થતાં ગરબા પર 18% GST ઝીંકી દેવામાં આવ્યો છે. જેથી નવરાત્રીમાં ગરબા પર ટેક્સનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજ્યો હતો.
ગરબા ટેક્સ મુદ્દે વિધાનસભામાં વિરોધ
ગુજરાતમાં માલ અને સેવા વેરા સુધારા વિધેયક બહુમતીથી પસાર થઈ ગયું છે. જેની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણી ગરબા ટેક્સ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. અને કહ્યું હતું કે ગરબા પર પણ સરકાર 12થી 18% જેટલો ટેક્સ લઈ રહી છે. તે દુભાગ્યપૂર્ણ વાત છે. જેના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ ગરબા પર ટેક્સ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે શેરી ગરબા પર કોઈ ટેક્સ નથી લેવામાં આવતો.
નવરાત્રીની અન્ય વસ્તુઓ 30% સુધી મોંધી થઈ ગઈ
કોરોના ના બે વર્ષ પછી રાજ્ય માં નવરાત્રી મહોત્સવ ના આયોજનો થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ગરબા આયોજન ના પાસ પર પણ 18 ટકા જીએસટી લાગુ કરતા ભારે વિરોધ થવા પામ્યો હતો. ગરબામાં આયોજન ખર્ચ,ચણીયા ચોળી અને અન્ય વસ્તુઓ પણ જીએસટીમાં ભાવમાં 20 થી 30%નો વધારો જોવા મળ્યો છે. ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં 1,000થી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને 1,000થી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે. મોંધવારીનો માર સહન કરી રહેલા ગરબા રસિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત સરકારે 8 જિલ્લામાં કર્યું છે નવરાત્રીનું આયોજન
રાજ્યમાં યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ વર્ષે 11 સ્થળોએ નવરાત્રીની ઉજવણી કરાશે. ત્યારે એકવાર ફરી નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેલૈયાઓ ઝૂમવા તૈયાર થઇ જજો. રાજ્યમાં આ વર્ષે 8 જિલ્લાના 11 સ્થળોઓ ઉજવણી કરાશે. જેમાં અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં નવરાત્રીની ઉજવણી કરાશે.
તદુપરાંત મંદિરોની વાત કરીએ તો ભદ્રકાળી મંદીર, અંબાજી મંદિર, આશાપુરા મંદીર અને પાવાગઢ સહિતના મંદિરોમાં આ વર્ષે નવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. રાજ્ય સરકાર દ્વારા જે ઉજવણી કરવામાં આવશે તેમાં અનુરાધા પોંડવાલ, ઓસ્માન મીર અને કિર્તીદાન ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.