અમદાવાદ: શહેરમાં ખરાબ રસ્તાનો મામલે હાઇકોર્ટે સખત વલણ અપનાવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરેને હાઇકોર્ટે આદેશ કર્યો છે કે ખરાબ રસ્તા માટે જવાબદાર સામે પગલા લેવામાં આવે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે અધિકારીઓ ખરાબ રસ્તા મામલે જવાબદાર છે.
આ મામલે સંડોવાયેલ તમામ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે. આટલું જ નહી કોર્ટે કટાક્ષ કરતા કહ્યું કે અમદાવાદના રસ્તા પર એક આંટો મારી જુઓ જેથી ખ્યાલ આવશે કે મહાનગરના રસ્તાની હાલત કેવી છે.
અમદાવાદમાં સામાન્ય વરસાદ બાદ રસ્તાઓની હાલત ખખડધજ બની છે તો મેટ્રોના કામકાજને લઇને પર ઘણી જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ બિસ્માર રસ્તાઓ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને એક હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદનાં તમામ મોટા રસ્તાઓ અને તેને સાંકળતા રસ્તાઓ અંગે અહેવાલ રજૂ કરે. તેમજ કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ AMC ગંભીર નથી લાગતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદનની મોસમ શરૂ થતા અમદાવાદના રોડની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ ઉઘડી છે ત્યારે આજરોજ રાજ્યની હાઇકોર્ટે અમદાવાદ મનપાને આ મામલે ખખડાવી હતી અને સખત વલણ અપનાવી કમિશનરને રસ્તા મામલે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા છે.