ગુજરાતમાં એકાએક હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાના વાદાળા ખેરાયા છે. વલસાડમાં સતત બે દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે જ્યારે ગઈ કાલે છોટાઉદેપુરના નસવાડીમાં પણ કમોસમી વરસાદ થયો હતો. તેમજ આજે રાજ્યાના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. ભરશિયાળે વરસાદ થતા ખેડૂતોને વિવિધ પાકોમાં નુકસાન થયું છે. જેને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, નુકસાની અંગે સર્વેને આદેશ આપ્યા છે.
કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રીનું નિવેદન
કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય તે સ્વભાવિક છે. અને આ બાબતે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે, જે જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાં ત્યાં ખેતીવાડીને જે કોઈ અસર થઈ હોય તેની તપાસ કરી તત્કાલિક સરકારને રિપોર્ટ કરે તેમણે કહ્યું કે, જિલ્લા ખેતીવાડી અધિકારી તથા ખેતીવાડી નિયામકને સર્વે કરવા આદેશ આપ્યાં છે અને કમોસમી વરસાદ બાદ નુકસાનીનો સર્વે કરી સરકારને રીપોર્ટ કરવાનો આદેશ અપાયા છે.
યુરીયા ખાતર મુદ્દે રાઘવજી પટેલનું નિવેદન
યુરીયા ખાતર મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે 6 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે યોગ્ય માત્રામાં યુરીયા ખાતરનો જથ્થો ફાળવ્યો છે અને ખાતરનો જથ્થો યોગ્ય માત્રામાં નથી તે સદંતર પાયાવિહોણી વાત છે તેમણે કહ્યું કે, યુરીયા ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં છે.
માગશર મહિલનામાં માવઠું
આજે ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધી છે. ખેતરમાં ઉભેલા પાકને નુકસાન પહોંચવાની સંભાવના છે, રાજગરો, રાઈડો, શાકભાજી જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
આ સાથે જ પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ઘોઘંબાના કાંટુ સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે કમોસમી વરસાદ વરસતા ત્યાંના લોકોએ આજે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે.
હવામાન વિભાગની આગાહી
મહત્વનું છે કે, ગુજરાતમાં 10થી 14 તારીખ દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ આજુબાજુના વિસ્તારોમાં સોમવાર અને મંગળવારના રોજ સામાન્ય વરસાદી છાંટા અથવા હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આજે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.