રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર શક્તિકાંત દાસના અધ્યક્ષસ્થાને બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સની પ્રથમ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રોમ્પ્ટ કરેક્ટિવ એકશન (પીસીએ) એક દિવસના ડિફોલ્ટ સાથે સંકળાયેલ નિયમો અને કેશ કટોકટી ઉપરાંત ગયા મહિને ૧૯ નવેમ્બરે યોજાયેલી બેઠકમાં લેવાયેલા કેટલાક નિર્ણયોની સમીક્ષા અને એમએસએમઇ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શક્તિકાંત દાસે બુધવારે જ કાર્યભાળ સંભાળ્યો છે અને તેમણે ગુરુવારે મુંબઇ સ્થિત સરકારી બેન્કોના પ્રમુખ સાથે બેઠક કરી હતી.
એક બેન્કના વડાએ શક્તિકાંત દાસને પીસીએના નિયમોમાં રાહત આપવા જણાવ્યું હતું. આજની બેઠકમાં આરબીઆઇના રિઝર્વ ફંડ પર પણ ચર્ચા થઇ શકે છે. આરબીઆઇ ફંડમાં ૯.૬ લાખ કરોડ રૂપિયા છે. સરકાર ઇચ્છે છે કે રિઝર્વ આમાંથી કેટલીક રકમ ટ્રાન્સફર કરે.
આજની બેઠકમાં કુલ રર પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં મુખ્ય મુદ્દો રિઝર્વ બેન્કના પ્રશાસન અને સ્વાયત્તતાનો રહેશે.
સરકાર ઇચ્છે છે કે રિઝર્વ બેન્કના નિર્ણયોમાં સરકારનું વર્ચસ્વ રહે. દરમિયાન નાણાપ્રધાન અરુણ જેટલીએ પ્રથમ વાર એકરાર કર્યો છે કે સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે બે-ત્રણ મુુદ્દે મતભેદ છે. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે આરબીઆઇની સ્વાયત્તતા ટકાવી રાખવાના મુદ્દે સરકાર અને રિઝર્વ બેન્કના અલગ અલગ મત છે પરંતુ આ મુદ્દે કોઇ ઝઘડો નહોતો.
કોઇ મુદ્દે મતભેદો હોવા એ ટકરાવ છે એવું નથી. દરમિયાન પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમે એવો આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર સ્વયંને આરબીઆઇની માલિક સમજવા લાગી છે.