કેન્દ્ર સરકાર હવે બેન્કમાં જમા રકમ પર ગેરંટીની મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. ૧૦ લાખની કરવા વિચારણા કરી રહી છે. આ માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં સુધારેલ ફાઇનાન્શિયલ રેઝોલ્યુશન ડિપોઝિટરી ઇન્સ્યોરન્સ (એફઆરડીઆઇ) બિલ લાવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને પણ એવું જણાવ્યું છે કે સરકાર બેન્કમાં જમા રકમ પર ગેરંટીની મર્યાદા રૂ. એક લાખથી વધારવા વિચારણા કરી રહી છે, જોકે કોઇ સંજોગોમાં બેન્ક બંધ થાય તો તેવી સ્થિતિમાં સરકાર ગ્રાહકોને કેટલી રકમ આપશે તે અંગે તેમણે સ્પષ્ટતા કરી ન હતી.
આ અંગે ટૂંક સમયમાં તમામ સ્ટેક હોલ્ડર્સનો અભિપ્રાય મેળવવા આ બિલનો મુસદ્દો ઇશ્યૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને જાહેર ક્ષેત્રની બેન્કના વડાઓ સાથે બેઠક યોજ્યા બાદ જણાવ્યું કે બેન્કો પાસે પર્યાપ્ત પ્રમાણમાં કેશ ઉપલબ્ધ છે અને બધુ સમુસૂતરું ચાલી રહ્યું છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે મોટી કંપનીઓના રિટર્ન ફાઇલિંગ અનુસાર તેમની પાસે એમએસએમઇ સેક્ટરના રૂ. ૪૦ હજાર કરોડ બાકી નીકળે છે.
વર્તમાન સમયમાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી હેઠળ બેન્ક ખાતામાં જમા રકમ પ્લસ ડિપોઝિટ પર મહત્તમ રૂ. એક લાખનો વીમો હોય છે, જેમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. કોઇ કારણસર બેન્ક બંધ થાય તો ડિપોઝિટરને વીમા કંપની આટલી રકમનું પેમેન્ટ કરે છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓ. બેન્કના ગ્રાહકોને પૂરા પૈસા પરત મળશે. તેમણે જણાવ્યું કે પીએમસી બેન્કમાં જે થયું તેની તપાસ ચાલી રહી છે. ગ્રાહકોને તેમના પૂરા પૈસા પરત આપવામાં આવશે.