હજુ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે યોજાશે એ કંઇ નક્કી નથી. એ પહેલાં રાજ્યમાં કેટલાંક સમાજના આગેવાનો CM પોતાના સમાજમાંથી બને તેવી માંગ કરી રહ્યાં છે.
કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઇશે: નવઘણજી ઠાકોર
ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ: નવઘણજી ઠાકોર
તાજેતરમાં જ અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે બનાસકાંઠાના ઢીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરીને વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. એ દરમ્યાન તેઓએ હુંકાર કર્યો હતો કે, '2022માં મુખ્યમંત્રી તરીકે ઠાકોરની માંગણી માટે ગુજરાતની આ ભૂમિ ઉપર ખુલ્લી તલવારે પટ્ટા ખેલવાના છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓને અમારો મુખ્યમંત્રી જોઇશે. બાકી અમે ગામડાઓમાં એમને પગ મૂકવા નથી દેવાના.'
ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી યાત્રા ફાગવેલ સુધી જશે
નવઘણજી ઠાકોરે ઢીમા ખાતે મંદિરમાં ભગવાન ધરણીધરના દર્શન કરી નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે અને ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે. ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમા ભગવાનના દર્શન કરવા આવીશ. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસ કરશે. ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ અને 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરવાના છીએ.'
યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે
વધુમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'OBC, ST અને SC સમાજનો સાથ લઈ આગામી 2022માં ગુજરાતની ધરતી પર સોનાનો સુરજ ઉગાડવો છે. સોનાનો સૂરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ OBC અને SC, ST સમાજની સરકાર આ મારું સપનું છે. આ યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે.'