તેલુગુ ઇન્ડસ્ટ્રીના અભિનેતા સુધીર વર્માએ વારંગલમાં કોઈ પ્રકારનું ઝેરી પદાર્થ ખાઈ લીધું હતું અને આ પછી તેની તબિયત બગડતાં હૈદરાબાદમાં તેઓ તેના સંબંધીના ઘરે ચાલ્યા ગયા હતા.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા કરી
ઝેરી પદાર્થ ખાવાને કારણે થયું મૃત્યુ
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ
મનોરંજન જગતમાંથી ઘણા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા અભિનેત્રી તુનિશા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. હજુ તેના વિશે લોકો ભૂલ્યા નથી ત્યાં ફરી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર અભિનેતાએ સોમવારે આત્મહત્યા કરી હતી.
ઝેરી પદાર્થ ખાવાને કારણે થયું મૃત્યુ
પોલીસના જણાવ્યા મુજબ તેલુગુ ઇન્ડસ્ટ્રીના અભિનેતા સુધીર વર્માએ વારંગલમાં કોઈ પ્રકારનું ઝેરી પદાર્થ ખાઈ લીધું હતું અને આ પછી તેની તબિયત બગડતાં હૈદરાબાદમાં તેઓ તેના સંબંધીના ઘરે ચાલ્યા ગયા હતા. જો કે એ પછી એમને ત્યાં આ ઝેરી પદાર્થ ખાવાની વાત કહી હતી અને ત્યારબાદ તેને ઉસ્માનિયા હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. 21 જાન્યુઆરીએ સુધીરને વિશાખાપટ્ટનમની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન 23 જાન્યુઆરીના રોજ સોમવારે તેમનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે તપાસ બાદ સુધીર વર્માનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે.
આત્મહત્યાનું કારણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી અભિનેતા ખૂબ જ માનસિક દબાણમાં હતો. હાલ ટોલીવુડના અભિનેતા સુધીર વર્માના આકસ્મિક નિધનથી સમગ્ર ટોલીવુડ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે સાથે જ સોશ્યલ મીડીયા પર તેના ચાહકો ખૂબ જ દુઃખી થયા છે અને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંગત કારણોસર આ પગલું ભર્યું છે, જો કે તે કેટલું સાચું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ ફિલ્મથી મળી હતી ખ્યાતિ
સુધીર વર્માએ આત્મહત્યાનું પગલું ભર્યું, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. સુધીરના જવાથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુધીર વર્માએ 2013માં ફિલ્મ 'સ્વામી રા રા'થી અભિનયની શરૂઆત કરી હતી પણ સુધીર વર્માએ ફિલ્મ 'કુંદનપુ બોમ્મા'માં કામ કર્યું હતું ત્યારથી તેને ઓળખ મળી હતી. આ સિવાય તે વેબ સીરિઝ 'શૂટ આઉટ ઇન અલાયર' માટે પણ જાણીતો છે.
વર્ષ 2022 માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ઘણા દિગ્ગજ લોકો મૃત્યુ પામ્યા હતા અને ગયા વર્ષે અભિનેતા મહેશ બાબુના પિતા સુપરસ્ટાર ઘટ્ટમનેની કૃષ્ણાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.