ટાટા ગ્રુપ એર ઈન્ડિયા બાદ વધુ એક સરકારી કંપની નીલાચલ ઇસ્પાત લિમિટેડને ખરીદવાની છે. ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલ તરફથી આ એનઆઈએનએલનું અધિગ્રહણ કરવામાં આવશે.
ટાટા ગ્રુપ એર ઈન્ડિયા બાદ વધુ એક સરકારી કંપનીને ખરીદશે
ટાટા સ્ટીલ તરફથી એનઆઈએનએલનું અધિગ્રહણ કરવામાં આવશે
નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડનુ અધિગ્રહણ જૂનના અંત સુધી પૂર્ણ થશે
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પૂર્ણ થશે અધિગ્રહણ
ટાટા સ્ટીલના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટીવી નરેન્દ્રને કહ્યું કે કંપની નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડનુ અધિગ્રહણ જૂનના અંત સુધી પૂર્ણ કરી લેશે. ટાટા સ્ટીલ માટે એનઆઈએનએલનુ આ અધિગ્રહણ એક મોટા ઉત્પાદન પરિસરને તૈયાર કરવાની દ્રષ્ટિએથી વધુ મહત્વપૂર્ણ છે. નરેન્દ્રનએ કહ્યું, એનઆઈએનએલનુ અધિગ્રહણ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પૂર્ણ થઇ જશે અને અમે પોતાના ઉચ્ચ મૂલ્યવાળા છૂટક વ્યાપારના વિસ્તરણને પ્રોત્સાહન આપવા માટે તેને ઝડપથી વધારીશુ. ઉલ્લેખનીય છે કે ટાટા સ્ટીલે 31 જાન્યુઆરીએ ઓડિશાની ઇસ્પાત નિર્માતા કંપની એનઆઈએનએલની 12,100 કરોડ રૂપિયામાં 93.71 ટકા ભાગીદારી ખરીદવા માટે બોલી જીતવાની જાહેરાત કરી હતી.
ભારે ખોટમાં ચાલી રહી છે સરકારી કંપની
મહત્વનું છે કે નીલાચલ ઇસ્પાત લિમિટેડનો કલિંગનગર, ઓડિશામાં 1.1 મીર્ટિક ટન ક્ષમતાવાળો એક ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ છે. આ સરકારી કંપની પણ ભારે નુકસાનમાં જઇ રહી છે અને 30 માર્ચ 2020થી પ્લાન્ટ બંધ છે. કંપની પર 31 માર્ચ 2021થી 6600 કરોડ રૂપિયાથી વધુના દેવા અને જવાબદારીઓ છે. જેમાં પ્રમોટરોના 4116 કરોડ રૂપિયા, બેંકોના 1741 કરોડ રૂપિયા અન્ય લેણદારો અને કર્મચારીઓના મોટા લેણા સામેલ છે. એનઆઈએનએલના બધા કર્મચારીઓ કંપનીમાં પહેલાની જેમ યથાવત રહેશે. જેના માટે એક એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ એક વર્ષ સુધી કંપની કર્મચારીઓને છૂટા કરી શકે નહીં.