તમે ઉત્તરાખંડ હિમાલયમાં ચારધામ યાત્રા માટે નીકળી રહ્યા હો તો દિલની વિશેષ કાળજી રાખજો. નબળા દિલના લોકો માટે તો યાત્રાથી દુર રહેવામાં જ ભલાઇ છે. તેનું કારણ એ છે કે ઉચ્ચ હિમાલયી ક્ષેત્રમાં હોવાના કારણે ચારધામ યાત્રા માર્ગ પર હ્રદયરોગથી સૌથી વધુ મૃત્યુ થાય છે.
આ વર્ષે પણ આ સિલસિલો રોકાયો નથી અને સાત મેથી અત્યાર સુધી 51 યાત્રીઓ ચાર ધામમાં દમ તોડી ચુક્યા છે. આવા સંજોગોમાં જરુરી એ છે કે ચારધામ યાત્રા પર આવનારા શ્રધ્ધાળુઓ પોતાની હેલ્થ ખાસ કરીને દિલનો ખ્યાલ રાખે. ચારધામ યાત્રા રુટથી વધુ ઉંચાઇ પર હોવાથી કોઇ પણ રોગ હોય તેવા લોકોની તબિયત બગડી શકે છે. કારણ એ પણ છે કે વધુ ઉંચાઇ પર ઓક્સીજનની કમી સર્જાય છે. આવા સંજોગોમાં યાત્રા કરતા પહેલા તમામ જરુરી પગલા ભરવા જોઇએ.
રુદ્રપ્રયાગના મુખ્ય ચિકિત્સાધિકારી ડો. એસ.કે.ઝાનું કહેવું છે કે વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રો ખાસ કરીને કેદારનાથમાં ઓક્સિજનની કમી અને સતત બ્લડપ્રેશર અનિયમિત થવાના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જિલ્લા ચિકિત્સાલય ઉત્તરકાશીના સીએમઓ ડો. ડીપી જોશીનું કહેવું છે કે યાત્રીઓને જો ચઢતી વખતે કંઇપણ પ્રોબલેમ થાય તો જબરજસ્તી આગળ ચઢવાની કોશિશ ન કરવી જોઇએ. તેઓ પોતાની યાત્રા સ્થગિત કરે તે જ યોગ્ય રહેશે. કોઇ પણ પ્રકારનું રિસ્ક જીંદગી પર ભારે પડી શકે છે. વળી યાત્રીઓએ દવાઓની ઇમરજન્સી કિટ પણ સાથે રાખવી જોઇએ. ખાસ કરીને શુગર, હ્રદયનો કોઇ પણ પ્રોબલેમ અને બ્લડપ્રેશરની ફરિયાદવાળા લોકોએ દવા સાથે રાખવી જરુરી છે.
યાત્રીઓને ડોક્ટર્સની સલાહ
- 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના યાત્રીઓ વિવિધ પડાવ પર સ્વાસ્થ્ય પરિક્ષણ જરુર કરાવે
- ચાલતા જવાના બદલે ઘોડા, ખચ્ચર કે પાલખીનો ઉપયોગ કરે
- યાત્રાની વચ્ચે થોડી વાર માટે આરામ અવશ્ય કરે
- બરફ કે વરસાદમાં ભીંજાવાથી બચે.
- હાઇ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, શ્વાસના રોગીઓ ડોકટરની સલાહ વગર યાત્રા ન કરે.
- ભુખ્યા પેટે યાત્રા ન કરે અને તળેલું ભોજન પણ ન લે. તેનાથી ગેસનો પ્રોબલેમ થઇ શકે છે.