ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) આ મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વિશ્વકપ યોજવો કે કેમ તે અંગે નિર્ણય લેવાની છે. જોકે એક ચોંકાવનારા સમાચાર ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો આપી શકે છે. આ સમાચાર પરથી એવું સમજી શકાય કે ટી-૨૦ વિશ્વકપ રદ થશે. ઓસ્ટ્રેલિયાના બીજા નંબરના સૌથી મોટા શહેર મેલબર્નમાં આજ રાતથી છ સપ્તાહ માટે લોકડાઉનનો અમલ શરૂ થઈ રહ્યો છે, કારણ કે વિક્ટોરિયામાં કોરોના વાઇરસનો પ્રસાર વધી રહ્યો છે.
મેલબર્નમાં લૉકડાઉનથી વર્લ્ડકપ રદ્દ
ટી-20 વર્લ્ડકપ રદ્દ થશે
મેલબોર્નમાં લોકડાઉન અમલમાં આવવાથી એ તો લગભગ નક્કી થઈ ગયું છે કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વિશ્વકપનું આયોજન શક્ય નહીં બને. કોરોના મહામારી વચ્ચે આઇસીસીએ સતત વેઇટ એન્ડ વોચની રણનીતિ અપનાવી હતી અને છેલ્લે યોજાયેલી બે-ત્રણ બેઠકમાં ટી-૨૦ વિશ્વકપ અંગેનો નિર્ણય ટાળ્યો હતો. જોકે હવે આઇસીસીએ ટી-૨૦ વિશ્વકપ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવી પડશે.
આઇસીસીની નાણાકીય બાબતોની સમિતિના પ્રમુખ અહસાન મની અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એ સ્પષ્ટ કરી જ દીધું હતું કે ઓક્ટોબર-નવેમ્બરના ગાળામાં ટી-૨૦ વિશ્વકપની યજમાની કરવી વ્યવહારિક રીતે અશક્ય છે, પરંતુ આઇસીસીએ આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બીસીસીઆઇ આ જ બાબતથી ખુશ નથી.
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે આઇસીસી ટી-૨૦ વિશ્વકપ અંગે બોલવામાં મોડું કરી રહી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ચેરમેન અર્લ એડિંગ્સ આઇસીસીને લખી ચૂક્યા છે કે આ પરિસ્થિતિમાં ટી-૨૦ વિશ્વકપના આયોજનની શક્યતા બહુ ઓછી છે.
આ અધિકારી જણાવ્યું, ''મેલબર્નમાં છ સપ્તાહના લોકડાઉનનો અમલ શરૂ થવાનો છે ત્યારે હવે આઇસીસીએ કોઈ અંતિમ નિર્ણય કરી લેવો જોઈએ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન એડિંગ્સ અને પીસીબી પ્રમુખ અહસાન મનીએ પણ તાજેતરમાં કહ્યું હતું કે ટી-૨૦ વિશ્વકપ કોરોના મહામારી વચ્ચે યોજી શકાય નહીં.''
હવે જો ઓસ્ટ્રેલિયામાં રમાનારો ટી-૨૦ વિશ્વકપ રદ થશે તો તેના સ્થાને બીસીસીઆઇ આઇપીએલનું આયોજન વિદેશની ધરતી પર કરી શકશે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ચાહકો માટેના માઠા સમાચાર આઇપીએલના ચાહકો માટે ગુડ ન્યૂઝ બન્યા છે.